જિલ્લા પંચાયત હસ્તકના તમામ મિલકતનો સર્વે કરવા મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી જાડેજા દ્વારા પરિપત્ર બહાર પડાયો
Morbi chakravatnews
જરૂર જણાયે યોગ્ય કાર્યવાહી કરવા પણ તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને સુચના અપાઈ
મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા જિલ્લા પંચાયત હસ્તકના તમામ મિલકતનો સર્વે કરી જરૂરિયાત જણાય તો યોગ્ય કાર્યવાહી કરવા જણાવાયું છે.
જે અન્વયે તળાવોનો સર્વે કરી, તેના લોકેશન સાથેના અક્ષાંસ રેખાંશની માહિતી સાથે તમામ વિગતો તલાટી કમ મંત્રી મારફત મેળવવા તાલુકા વિકાસ અધિકારીઓને સૂચના આપવામાંવી હતી તેમજ આ અંગેનો અહેવાલ જિલ્લા પચાયત હસ્તકના સિંચાઈ વિભાગને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.
વધુમાં ગ્રામ પંચાયતો હસ્તક આવેલ તમામ મિલકતો જેવી કે પંચાયત ઘર, શાળા, પશુ દવાખાનું, કોમ્યુનીટી હોલ, ઢોર પુરાવાના ડબ્બા, ખળાવાડ, સ્મશાન, કબ્રસ્તાન, ગેસ્ટ હાઉસ પર કોઈપણ જાતનું દબાણ, પેશકદમી કે કોઈપણ વ્યક્તિ દ્વારા ગેરકાયદેસરનો કબજો થયેલ અથવા જર્જરિત અવસ્થામાં છે કે કેમ તે અંગેની ચકાસણી તલાટી કમ મંત્રી મારફત કરવા મોરબી જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓને સુચના આપવામાં આવેલ છે. અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવેલ છે.
મોરબી જિલ્લા પંચાયત હસ્તકના તમામ કોમ્યુનીટી હેલ્થ સેન્ટર(CHC), પ્રાયમરી હેલ્થ સેન્ટર(PHC) અને સબ સેન્ટરો વગેરે મિલકતો જર્જરિત અવસ્થામાં છે કે કેમ? તેની સ્થિતિ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ ચકાસવા સુચના આપવામાં આવેલ છે. આવી તમામ બાબતોના પરિપત્રો દિગ્વિજયસિંહ ડી.જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી મોરબી દ્વારા કરવામાં આવેલ છે