મોરબી: એસટી બસનો ભીમકટા થી સુરેન્દ્રનગરનો સવારનો રૂટ શરૂ કરવા કોંગ્રેસની માંગ
Morbi chakravatnews
મોરબી: ઘણા વર્ષોથી મોરબી ડેપોમાંથી સવારના ૬:૦૦ કલાકે ભિમકટા થી સુરેન્દ્રનગરનો એસટી બસનો રૂટ ચાલુ હતો જે ફરી ચાલુ કરવા માટે મોરબી એસટી ડેપો મેનેજરને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મોરબી એસટી ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી મોરબી ડેપોમાંથી સવારના ૬.૦૦ કલાકે ભીમકટા થી સુરેન્દ્રનગર રૂટ ચાલુ હતો. આ રૂટનું રાત્રી રોકાણ ભીમકટામાં જ કરવામાં આવતું હતું. આ રૂટમાં ભીમકટા, ખારચીયા, આમરણ, હજનાળી, કુંતાસી, મોડપર જેવા ઘણા બધા ગામના વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ તેમજ અનેક લોકો અપડાઉન કરતા હતા. પરંતુ છેલ્લા એક અઠવાડીયાથી આ રૂટ બંધ કરવામાં આવેલ છે. જેના કારણે વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ તથા લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓ તથા ધંધાર્થીઓ સમયસર પહોંચી શકતા નથી. જેથી વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ અને લોકોની પરેશાનીને ધ્યાને લઈ આ રૂટ તાત્કાલીક ધોરણે શરૂ કરવા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે માંગ કરી છે.
તેમજ વધુમાં જણાવ્યું હતું જો આ રૂટ સમયસર રાબેતા મુજબ શરૂ કરવામાં નહીં આવે તો આ રૂટ પર આવતા તમામ ગામના વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ તેમજ લોકોને સાથે રાખી મોરબી એસ.ટી. ડેપો ખાતે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.