૧૩૨ લાખના ખર્ચે ૨૨૦૦ મીટર પાઇપ નહેરનું નિર્માણ કરાયું
રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ્ હસ્તે ૧૩૨.૨૮ લાખના ખર્ચે નિર્માણ પામેલ મચ્છુ-૨ સિંચાઈ યોજનાની મુખ્ય નહેરની ડાયરેક્ટ માઈનોર M-2/R ની પાઇપ નેહરનું લોકાર્પણ ગુરૂવારે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, વણથંભી વિકાસ યાત્રા થકી જળ સંપત્તિ હેઠળ પણ વિવિધ વિકાસ કામો થઈ રહ્યા છે. આ વિસ્તારમાં ખુલ્લી કેનાલ હોવાથી અકસ્માત, બાળકો કે પશુઓને નહેરમાં પડવાનો ભય, ગંદકી, નહેર ચોક-અપ થઈ જતી તેમજ છેવાડાના વિસ્તારમાં ખેડૂતોને પાણી ન પહોંચે જેવી વિવિધ સમસ્યાઓ નિવારવા આ નહેરને પાઇપ નહેર બનાવવાની છેલ્લા ઘણા સમયથી માંગણી હતી. આ તમામ સમસ્યાઓના વિકલ્પ સ્વરૂપે આ પાઇપ નહેરને આકાર અપાયો છે. લોકોની આ લાગણી અને માંગણી પરિપૂર્ણ થઈ તે બદલ મંત્રીએ મુખ્યમંત્રી તેમજ સિંચાઈ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આ કાર્યમાં સાંસદમોહનભાઇ કુંડારીયાનો પણ પૂરો સહકાર મળ્યો હોવાનું જણાવી ઝડપી કામ પૂર્ણ કરવા સિંચાઈ વિભાગની ટીમ અને આ કાર્યમાં સહકાર બદલ નગરજનો અને જનપ્રતિનિધિઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર દરેક ખેડૂતને ખેતરે પાણી મળે તે માટે હંમેશા કાર્યરત છે તેમજ તર્કબદ્ધ, સમયસર અને પરિણામલક્ષી કાર્ય કરવા અમે કટિબદ્ધ છીએ.




