મોરબી : ખત્રીવાડમાં યુવતીએ કરેલ આત્મહત્યા ના બનાવમાં ફરિયાદ નોંધાઈ
ગત તારીખ ૪ ના રોજ ખત્રીવાડ વિસ્તારમાં ૨૨ વર્ષીય યુવતી દ્વારા પોતાના પતિના ઘરે આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. ત્યારે આ મામલે યુવતીના પિતા દ્વારા યુવતીના સાસરિયાં પક્ષ વિરૂદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ ગત તા.4ના રોજ ખત્રીવાડ શેરી નંબર -2 માં રહેતા વર્ષાબેન પ્રકાશભાઇ ચૌહાણ ઉ.22 નામની પરિણાતાએ ચાર વર્ષના દામ્પત્ય જીવન બાદ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વર્ષાબેનના પિતા સુરેશભાઈ ભીમજીભાઈ ચાવડા, રહે. મોરબી નહેરૂગેટ પખાલીની શેરી વાસંગી હોટેલ પાસે વાળાએ તેમની દીકરીને પતિ સહિતના સાસરિયાઓએ મરવા મજબુર કરી હોવાની સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વધુમાં મૃતક વર્ષાબેનના પિતા સુરેશભાઈ ભીમજીભાઈ ચાવડાએ તેમના જમાઈ પ્રકાશભાઇ ગીરીશભાઇ ચૌહાણ જમાઇ, જેઠ યોગેશભાઇ ગીરીશભાઇ ચૌહાણ, સાસુ કલાવતીબેન ગીરીશભાઇ ચૌહાણ અને જેઠાણી અવનીબેન યોગેશભાઇ ચૌહાણ, રહે. બધા ખત્રીવાડ શેરી નં.-૦2 કૂષ્ણ મહેલ પાસે મોરબી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમની પુત્રીના લગ્ન જીવન દરમિયાન પતિ સહિતના સાસરિયાઓ અવાર નવાર માનસિક ત્રાસ આપી તેમના માતા પિતા સાથે ફોનમાં પણ વાતો કરવા દેતા ન હતા.
વધુમાં બનાવના આગલા દિવસે પણ મૃતક વર્ષાબેન તેમના પિતાના ઘેર આવી ગયા હતા અને હવે સાસરે નથી જવું તેમ કહી પતિ સહિતના સાસરિયા તને બાળક રહેતું નથી તેવા મેણા મારતા હોવાનું જણાવ્યું હતું. અને તે દિવસે રાત્રે જ પતિ તેણીને તેડી ગયા બાદ બીજે દિવસે સવારે વર્ષાબેને ગળેફાંસો ખાઈ લીધો હોય પતિ, સાસુ, જેઠ અને જેઠાણીએ પોતાની દીકરીને મરવા મજબુર કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું