મોરબીના હળવદ ખાતે પિયત સહકારી મંડળીઓની મુલાકાત કરતા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા
સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે મોરબી જિલ્લામાં પધારેલા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ હળવદ વિસ્તારમાં પિયત મંડળીઓની મુલાકાત લીધી હતી.
ગુજરાત રાજ્ય ઉદ્ધવહન પિયત સહકારી સંઘ હેઠળ મોરબીમાં હળવદ તાલુકામાં વિવિધ પિયત મંડળીઓ કાર્યરત છે. આ મંડળીઓની મંત્રી જગદીશ વિશ્વકર્માએ મુલાકાત લઇ તેમની સાથે વિવિધ ચર્ચાઓ કરી હતી.
મુલાકાત દરમિયાન મંત્રીએ આ વિસ્તારમાં કેટલી મંડળીઓ કાર્યરત છે, આ પિયત મંડળીઓ કેવી રીતે કામ કરે છે, કેટલા સભાસદો છે, ખેતી માટે પાણી ક્યાંથી લઇ આવવામાં આવે છે, કેટલા હેક્ટર વિસ્તારમાં પિયત કરી શકાય છે, આ પિયત મંડળીઓનું વાર્ષક ટર્નઓવર કેટલું છે, પાઇપલાઇન નાખવામાં કેટલો ખર્ચ થયો અને સરકાર દ્વારા ટપક સિંચાઈ પદ્વતિ માટે સરકાર દ્વારા કેટલી સહાય ચૂકવવામાં આવી વગેરે પ્રશ્નો કર્યા હતા. વધુમાં મંત્રીએ સૌને નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ (NCOL), ભારતીય બીજ સહકારી મંડળી લિમિટેડ (BBSSL) સહિતમાં જોડાવવા પણ અનુરોધ કર્યો હતો.
નંદનવન પિયત મંડળીના સભ્ય મહેશભાઈએ મંત્રીને આ પિયત મંડળીઓના ઉદ્દેશો, તેની રચનાની પૂર્વ ભૂમિકા અને હાલ પિયત મંડળીઓ કેવી રીતે કામ કરે છે અને કેટલી મંડળીઓ કાર્યરત છે વગેરે વિશે વિગતે માહિતી આપી હતી.
આ મુલાકાત દરમિયાન હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, ગુજરાત રાજ્ય ઉદ્ધવહન પિયત સહકારી સંઘના ચેરમેન દેવશીભાઈ સવસાણી, જિલ્લા રજિસ્ટ્રાર બી.એન. પટેલ, હળવદ મામલતદાર સહિત પદાધિકારી / અધિકારીઓ તથા વિવિધ પિયત મંડળીઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.