સરકાર દ્વારા મગફળી ખેડૂતો પાસેથી ૩૦૦ મણ ખરીદવાની માંગ સાથે જીલ્લા કોંગ્રેસ દ્વારા ટંકારા મામલતદારને આવેદન
સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવાની છે જે ૭૦ મણ ખરીદવાની હોવાના એહવાલ પ્રસિદ્ધ થયા છે જેથી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને સાથે રાખી સરકાર દ્વારા ૩૦૦ મણ મગફળી ખરીદવા અથવા ખેડૂતોના ખાતામાં સિધા ૧ લાખ ૩૫ જમાં કરાવવાની માંગ સાથે ટંકારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે આપ સૌ જાણો છો કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2022 માં ખેડૂતોની આવક ડબલ કરવાનું કહ્યું હતું. જ્યારથી નરેન્દ્રભાઈ મોદી આ શબ્દો બોલ્યા છે ત્યારથી ખેડૂતોને ખેત પેદાશ ઉત્પાદિત કરવા માટે જરૂરી તમામ ચીજવસ્તુઓ જેમ કે બિયારણ, દવા, ખાતર, ખેત ઓઝાર, મજૂરી, ડીઝલ તમામ વસ્તુના ભાવ લગભગ બે થી ત્રણ ગણા વધ્યા છે અને ખેડૂત દ્વારા ઉત્પાદિત તમામ ખેત જણસના ભાવ સતત ઘટી રહયા છે.
આપણે ત્યાં વર્ષોથી એક ખાંડી મગફળી અને એક તોલું સોનુ એવી જ રીતે ચાર ખાંડી ઘઉં અને એક તોલું સોનુ આઝાદી થી લઈ વર્ષ 2013-14 સુધી હારોહાર ચાલતું આવતું હતું. ત્યારે વર્ષ 2014-15 માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા પછી તેમણે એવી તે કેવી નીતિઓ તૈયાર કરી કે ખેડૂતોની ખેત જણસના ભાવ સતત ઘટે છે અને ખેતરમાં જરૂરી વસ્તુઓ બિયારણ, દવા, ખાતર સહિત તમામ સાધન સામગ્રીના ભાવ અને સોનાના ભાવ સતત વધી રહયા છે. મોદી સરકારની આ ખેડૂત વિરોધી નીતિઓના કારણે ખેડૂતોને પડતર કિંમત પણ ઉપજતી નથી.
ઉલ્લેખનીય છે કે આપણે મગફળીની જ વાત કરીએ તો વર્ષ 2013-14 માં મગફળીના એક મણના ભાવ અંદાજે 1250 આસપાસ હતો એ જ મગફળી આજે ખુલ્લા બજારમાં 850 થી 1000 રૂપિયા છે જ્યારે એજ વર્ષમાં એક તોલું સોનુ 27000 થી 30000 હતું જે આજે 1,15,000 પહોંચી ગયું છે. એક બાજુ મગફળીના ખુલ્લા બજારમાં યોગ્ય ભાવ નથી અને બીજી બાજુ સરકાર ટેકાના નામે ખેડૂતો સાથે તરકટ કરી રહ્યું છે. મીડિયા અહેવાલો અને ભાજપના જ કેટલાક લોકોના જણાવ્યા મુજબ આ વર્ષે સરકાર ખેડૂતો પાસેથી માત્ર 70 મણ જ મગફળી ખરીદી કરવાનું વિચારી રહી છે.
ત્યારે એ મુજબ જો આપણે હિસાબ કરીએ તો ગયા વર્ષે 200 મણ ખરીદી ની જગ્યાએ આ વર્ષે માત્ર 70 મણ ખરીદી કરે તો દરેક ખેડૂતને 130 મણ × 450 (ભાવ ફેર) = ₹58,000 નું નુકશાન થઈ રહ્યું છે. માટે આપણે સૌએ જાગૃતતા બતાવી, ખેડૂતોની એકતા બતાવી, એકસાથે એકી અવાજે માંગ કરવી જોઈએ કે રજિસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂત પાસેથી સરકારે ઓછામાં ઓછી 300 મણ મગફળી ખરીદી કરવી જોઈએ અથવા ખુલ્લા બજાર અને ટેકાના ભાવની વચ્ચેના તફાવત 1452.60 (ટેકાના ભાવ) – 1000 (ખુલ્લા બજારના ભાવ) = ₹452.60 ના 300 મણ લેખે એટલે કે ₹1,35,000 ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવી દેવા જોઈએ
આ માંગ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે એક ફોર્મ ભરી મામલતદાર કચેરી ટંકારા ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે રજિસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂત પાસેથી 300 મણ મગફળી ખરીદી કરવામાં આવે અથવા ભાવફેરની રકમ ₹1,35,000 ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવવામાં આવે.