વૃક્ષ એ શિવનું સ્વરૂપ; વિષ સમા કાર્બનડાયોક્સાઇડને ગ્રહણ કરી અમૃત સમું ઓક્સિજન આપે છે
મોરબી જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કરવામાં આવી હતી.
ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતની નેમ સાથે સરકાર દ્વારા ૭૪માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સામાજિક વનીકરણ રેન્જ મોરબી અને મોરબી વન વિભાગ દ્વારા મોરબી જિલ્લા કક્ષાના ૭૪માં વન મહોત્સવની ઉજવણી પોલીસ હેડ ક્વાર્ટર – મકનસર ખાતે કરવામાં આવી હતી જ્યાં ૧૦ હજાર જેટલા વૃક્ષો વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય નાયબ દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, પહેલા વન મહોત્સવની ઉજવણી ફક્ત ગાંધીનગર ખાતે કરવામાં આવતી હતી. નરેન્દ્રભાઈ મોદીએ આ ઉજવણી જિલ્લા તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ ઉજવાય તેવી પરંપરા શરૂ કરાવી, જેના થકી લોકોમાં ઘણી જાગૃતિ પણ આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની માર્ગદર્શન હેઠળ ૭૫ સ્થળોએ ૧૦૦ હેક્ટરમાં વન કવચ બની રહ્યા છે. વૃક્ષોના અગણિત મહત્વ વર્ણવી તેમણે જણાવ્યું હતું કે, છોડમાં રણછોડ છે, વૃક્ષ એ શિવનું સ્વરૂપ છે જેવી રીતે શિવજી સમુદ્ર મંથનમાં વિષ ગ્રહણ કરી અમૃત આપ્યું હતું. એવી રીતે વૃક્ષો વિષ સમા કાર્બનડાયોક્સાઇડને ગ્રહણ કરી અમૃત સમું ઓક્સિજન આપે છે. આપણી સંસ્કૃતિ, પ્રકૃતિ તેમજ પર્યાવરણની જાળવણી માટે પણ વૃક્ષો મહત્વની ભૂમિકા ભજવે છે. વધુમાં ઔષધીય છોડવાનું મહત્વ સમજાવી તેમણે તમામ ઉપસ્થિતોને સાત પેઢી સુધીના મૃત આત્માઓના કલ્યાણ અર્થે એક એક વૃક્ષ વાવી એમના નામને જોડી તેમની જાળવણી કરવા માટેનો સંકલ્પ લેવા જણાવ્યું હતું.
આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ પણ વન વિભાગની યોજનાઓ વિશે માહિતી આપી તમામ લોકોને એક નિયમ લઈ દર વર્ષે એક વૃક્ષ વાવી તેનું જતન કરવા જણાવ્યું હતું.
રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ જણાવ્યું હતું કે, મોરબી એ પ્રાકૃતિક રીતે વૈવિધ્યતા ધરાવે છે જ્યાં સિંહ માટેનું અભ્યારણ પણ છે, રણ છે, દરિયો છે, ચેરના જંગલો પણ છે જેથી વન વિભાગની ભૂમિકા વધુ મહત્વની બની જાય છે. વન વિભાગ અને ગુજરાત સરકારના આ ગ્રીન ગુજરાત અભિયાનમાં જોડાઈને સમગ્ર ગુજરાતને હરિયાળું બનાવવા તેમણે તમામને હાકલ કરી હતી.
આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમના સિનિયર ડિવિઝનલ મેનેજર યદુ ભારદ્વાજ વગેરે પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું.
આ કાર્યક્રમના અંતે સર્વે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ તેમજ મહાનુભાવો દ્વારા લીલી ઝંડી બતાવી વૃક્ષ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન મોરબી નાયબ વન સરક્ષક ચિરાગ અમીને કર્યું હતું જ્યારે આભાર વિધિ એસ.બી. ભરવાડે કરી હતી.
આ ઉજવણીના પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડાસુંબિયા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, જીપીસીબીના અધિકારી એમ.એન. સોની, અગ્રણી સર્વ અરવિંદભાઈ વંસદડિયા, જેઠાભાઈ પારેધી, સુરેશભાઈ સિરોયા, મુકેશભાઈ ઉઘરેજા તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...