ટંકારાના કલ્યાણપર ગામે પતિ-પત્ની વચ્ચે ઝઘડો ચરમસીમાએ પહોંચી જતા પતિએ પત્નીની હત્યા કરી
મોરબી: ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે આજે વહેલી સવારે ખેતમજુર શ્રમિક દંપતી વચ્ચે થયેલા ઝઘડા બાદ પતિએ પથ્થરના ઘા ઝીકી પત્નીને મોતના ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા જ ટંકારા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને આરોપી પતિ પણ હાથવેંતમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે દસેક દિવસ પહેલા જ બાળકો સાથે ખેત મજૂરી કરવા આવેલા રાયબેન સુબોભાઈ વસુનીયા નામની પરિણીતાની તેના જ પતિ સુબોભાઈ વેસ્તાભાઈ વસુનીયાએ પથ્થરના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેતા આ હત્યાના બનાવ અંગે મૃતક રાયાબેનના ભાઈ સુમારીયા પારસિંહ માવીએ ટંકારા પોલીસ સ્ટેશનમાં બનેવી સુબોભાઈ વેસ્તાભાઈ વસુનીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ , ૩૦૨ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી આરોપી સુધી પહોંચવા તજવીજ હાથ ધરી છે, જો કે આરોપી પોલીસની હાથવેંતમાં હોવાનું સુત્રો દ્વારા જાણવા મળેલ છે.
જયારે ફરિયાદી સુબોભાઈ વેસ્તાભાઈ વસુનીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના બેન રાયાબેને મજૂરી કરી વતનમાં મકાન બનાવ્યું હોય જે મકાનમાં પતિ સુબોભાઈ વેસ્તાભાઈ વસુનીયા રહેવા દેવાનું કહેતો હોય રાયાબેને ના પાડતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને ઉશ્કેરાઈ ગયેલા આરોપી પતિ સુબોભાઈ રાયાબેનને માથામાં પથ્થરના ઘા મારી દેતા રાયાબેનનું મૃત્યુ નીપજ્યું હતું. જેની જાણ ફરિયાદી સુમારીયા પારસિંહ માવીને થતા આ બાબતે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.