પડતર પ્રશ્નો મામલે ૧૨મીએ જિલ્લા શિક્ષણ સંઘ DEO કચેરી ખાતે મૌન ધરણા કરશે
મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘ દ્વારા પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા આગામી તારીખ 12મી ઓગસ્ટના રોજ DEO કચેરી ખાતે મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પડતર પ્રશ્નો અંગે ગુજરાતના મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ અને નાણા વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા તમામ માંગણીઓનો સરકારે સ્વીકારી હતી.આ અંગે મંત્રી દ્વારા પત્રકાર પરિષદમાં પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણી અગાઉ સરકાર દ્વારા તમામ પ્રશ્નોના ઉકેલ અંગેની ખાતરી આપી હતી પરંતુ ચૂંટણી બાદ શિક્ષણ મંત્રીએ પડતર પ્રશ્નો કોઈ પરિપત્ર જાહેર નથી કર્યો અને આ પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવ્યું નથી.
જેને અનુસંધાને આગામી તારીખ ૧૨ ઓગસ્ટને શનિવારના રોજ બપોરે ૧૨:૦૦ થી ૦૩:૦૦ સુધી મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘ દ્વારા શહેરના શક્તિ પ્લોટ ખાતે આવેલી મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે મૌન ધરણાનું કાર્યક્રમ યોજાશે તેવું યાદીમાં જણાવ્યું હતું