ચોરનો તરખાટ: મોરબીના ઇન્દિરાનગરમા રહેણાંક મકાનમાં 1.21 લાખની ચોરી
મોરબી: મોરબીના ઈન્દિરાનગરમા ખોડિયાર સોસાયટીમાં રહેણાંક મકાનમાં તસ્કરોએ પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના તથા રોકડ સહિત કિ રૂ.૧,૨૧,૦૦૦ ના મતાની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાં તસ્કરો બેખોફ બનતાં ચોરીના વધતાં જતા બનાવો પોલીસ સામે પડકાર રૂપ બન્યા છે. ચોરીને અંજામ આપી તસ્કરો પલાયન થઈ જાય છે, પરંતુ પોલીસના હાથે આવતા નથી. આવી સ્થિતિમાં તસ્કરોને ઘી કેળા મળી રહેતા છાશવારે ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે મોરબીના ઇન્દિરાનગર ખોડિયાર સોસાયટીમાં રહેતા સુખદેવભાઈ કરશનભાઇ સુરેલા (ઉ.વ.૨૭) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના રહેણાંક મકાનમાં કોઈ અજાણ્યા ચોર ઈસમે ફરીયાદીના ઘરના મેઇન દરવાજાનો નકુચો તોડી ઘર અંદર પ્રવેશ કરી મકાનમાં કબાટમાં રાખેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ કિં રૂ. ૧,૨૧,૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.