નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન- મોરબી ખાતે એક્સ આર્મી મેન તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાના કરકમળે ગૌરવભેર ધ્વજવંદન સમારોહ
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી દ્વારા ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણી નવયુગ સંકુલ, વિરપર મુકામે ભવ્ય અને શિસ્તબદ્ધ રીતે કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં રાજેશભાઈ બદ્રકિયા (જિલ્લા સામાજિક સદભાવ સંયોજક, RSS)ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. તેમણે પોતાના પ્રવચનમાં “પર્યાવરણનું જતન એ આજના સમયની માંગ છે” એમ જણાવી પંચ પરિવર્તનના મહત્વ પર પ્રકાશ પાડ્યો.
સંસ્થાના પ્રમુખ શ્રી પી.ડી. કાંજીયાએ કહ્યું કે, “નાગરિક કર્તવ્ય એ જ આજના દિવસે સાચી દેશભક્તિ છે.” આ તકે ભારત માતા પૂજન તથા ભારત માતાની આરતી કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. NCC બોય્ઝ બટાલિયન તથા NCC ગર્લ્સ બટાલિયન દ્વારા શિસ્તબદ્ધ પરેડ રજૂ કરવામાં આવી. ત્યારબાદ કે.જી.થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિને ઉજાગર કરતા સમૂહગાન, નૃત્ય, ડ્રામા, વક્તૃત્વ જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા. વિજેતા વિદ્યાર્થીઓને ઈનામોનું વિતરણ પણ કરવામાં આવ્યું.
નવયુગ વિદ્યાલય, મોરબી ખાતે ડો. ઉત્સવભાઈ દવે (દરબારગઢ ઉપનગર કાર્યવાહ, RSS)એ પ્રવચન દ્વારા રાષ્ટ્રને મજબૂત બનાવવા, પરિવાર અને સંયુક્ત કુટુંબનું મહત્વ, દેશભક્તિ, શિસ્ત તથા સેવાભાવ જેવા વિષયો પર પ્રકાશ પાડ્યો. તેમણે RSSના કાર્યો અને રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું.
આ ઉજવણીમાં રાષ્ટ્રગીત, દેશભક્તિ ગીતો, નૃત્ય, ભાષણો તથા શપથ જેવા કાર્યક્રમોનો સમાવેશ થયો હતો. શાળા-કોલેજના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નવયુગ પ્રિ સ્કૂલ ઇન્ટરનેશનલ માં ધ્વજ વંદન સાથે નાના- નાના ભૂલકાઓ ની વેશભૂષા દ્વારા દેશભક્તિ સ્પીચ આપેલ.
સર્વે કાર્યક્રમો સરકારની ગાઈડલાઈન્સ મુજબ શિસ્ત અને ઉત્સાહ સાથે યોજાયા બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તથા રંજનબેન પી. કાંજીયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો અને ઉત્સાહ વધાર્યો. મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયાએ સંકલન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો.