નવલખી પોર્ટ ખાતે ટ્રક ટ્રેઇલરની અડફેટે શ્રમિક યુવકનું મોત
નવલખી પોર્ટ ખાતે ટ્રક ટ્રેઇલરની અડફેટે ચાલીને જઈ રહેલા શ્રમિક યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ, માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા સીદીકભાઈ ઇશાભાઈ ઉમરભાઈ બુચડ નવલખી પોર્ટ ખાતે કોલસાની ટ્રકોમાં તાલપત્રી બાંધવાની મજૂરી કરતા હતા.
ગઈકાલે તા. 13/02ની રાત્રે પ્લોટ નં. 10-સી ખાતે કોલસાથી ભરેલી ટ્રકમાં તાલપત્રી બાંધવાનું કામ પૂર્ણ કરી તેઓ ચાલીને જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી આવી રહેલા ટ્રક ટ્રેઇલર (રજી. નં. RJ-06-GC-3373)ના ચાલકે બેદરકારીપૂર્વક અને ઝડપી હંકારી સીદીકભાઈને પાછળથી ટક્કર મારી હતી.
અકસ્માતના ઝટકાથી સીદીકભાઈ રસ્તા પર પટકાયા હતા અને ટ્રકના આગળના વ્હીલ તેમનાં માથા ઉપર ફરી વળતાં તેમનું માથું છૂંદાઈ ગયું હતું. જેના કારણે સ્થળ પર જ તેમનું દુખદ મોત નિપજ્યું હતું.
અકસ્મતમાં ટ્રક ચાલક પોતાનું વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. મૃતકના પિતા ઇશાભાઈ ઉમરભાઈ બુચડ દ્વારા માળીયા(મી) પોલીસ મથકે આરોપી ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીની અટકાયત માટે શોધખોળ શરૂ કરી છે.