મારુતિનગર પ્રાથમિક શાળામાં આપત્તિ વ્યવસ્થાપન પ્રોજેક્ટ અંતર્ગત શાળા સલામતી અંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આગ, પૂર, ભૂકંપ જેવી આપત્તિઓ સમયે કેવી રીતે સાવચેત રહેવું અને સુરક્ષિત રીતે વર્તવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના ભાગરૂપે શાળા પરિસરમાં ફાયર ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું, જેમાં આગ લાગવાના બનાવ સમયે પ્રાથમિક પગલાં શું લેવા અને કેવી રીતે પોતાનું તથા અન્યનું રક્ષણ કરવું તેની પ્રાયોગિક સમજ વિદ્યાર્થીઓને આપવામાં આવી.
કાર્યક્રમમાં શાળા એસ.એમ.સી. અધ્યક્ષ ડૉ. મનોજભાઈ જાદવ, આચાર્યશ્રી રાજેશભાઈ ગામી તથા ધોરણ 6 થી 8 ના શિક્ષકમંડળ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની આપત્તિઓ અંગે વિગતવાર સમજૂતી આપવામાં આવી. કાર્યક્રમનું સંચાલન અમિતભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
જીગ્નેશભાઈ મોઢા દ્વારા આગ અને પૂર જેવી આપત્તિઓ સમયે રાખવાની સાવચેતીઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે શ્રદ્ધાબેન દ્વારા ભૂકંપ તથા કોમી હુલ્લડ જેવી પરિસ્થિતિમાં કેવી રીતે સુરક્ષિત રહેવું તેની સમજ આપવામાં આવી હતી.
આચાર્યશ્રી રાજેશભાઈ ગામી દ્વારા તમામ પ્રકારની આપત્તિઓ સમયે શું કરવું અને શું ન કરવું તેની મહત્વપૂર્ણ સૂચનાઓ વિદ્યાર્થીઓને આપવામાં આવી. ઉપરાંત ડૉ. મનોજભાઈ જાદવ દ્વારા આપત્તિના સમયે જરૂરી સાધન સામગ્રી, સરકાર તરફથી મળતી સહાય અને ઇમર્જન્સી સમયે સંપર્ક કરવાના મહત્વના નંબર અંગે માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં આપત્તિ પ્રત્યે જાગૃતિ વધવા સાથે સુરક્ષિત વર્તન અંગે મહત્વપૂર્ણ સમજ વિકસિત થઈ હતી.



