લોકો એ જે વિશ્વાસથી મત આપ્યા છે તેને વિશ્વાસ આપું છું કામ માં ક્યાંય કમી રહેવા નહિ દવ – કાંતિભાઈ અમૃતિયા
મોરબી જીલ્લામાં હવે ચારેય ટાયર મજબૂત આવી ગયા છે અને હું તેનો ડ્રાઈવર એટલે હવે કઈ ઘટવા નહિ દઉં ; કાંતિભાઇ અમૃતિયા
મોરબી: ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા વિજેતા જાહેર થયા બાદ આયોજિત વિજયસભામાં તેમને જણાવ્યું હતું કે આ જીત મારી નથી, મોરબી-માળિયા બેઠકના મતદારો અને કાર્યકર્તાઓની છે. હવે તેમનું વળતર ચૂકવવા માટે હું ૧૮ કલાક કામ કરીશ.
મોરબી- માળિયા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાનો ૬૨ હજારની જંગી લીડથી વિજય થયો છે. પરિણામ બાદ તેઓએ વિજયસભા યોજી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે અમે કોઈ જશ્ન મનાવી ઉજવણી કરવાના નથી. સાદાઈથી જ આજે મચ્છુ માતાના મંદિરે હવન કરીને આ જીતની ઉજવણી કરવાના છીએ. તેમજ આ સભામાં તેમણે જણાવ્યું કે આ જીત મારી નથી આ જીતતો કાર્યકર્તાઓ અને મતદારોની છે. મારે તો કામ જ કરવાનું છે. અમને તો વિચાર પણ ન હતો કે ૬૨ હજારની લીડથી જીતીશુ. અમારા લાખાભાઈ ૫૧ હજારની લીડ કહેતા હતા તે પણ ખોટા પડ્યા છે. મતદારો એ મને મત ખોબેનેધોબે આપ્યા છે આનું વળતર ચૂકવવા હું ૨૪ કલકમાંથી ૧૮ કલાક કામ કરીશ. તેની ખાતરી આપું છું.
કાંતિભાઈ અમૃતીયાએ વધુમાં જણાવ્યું હતું કે બધી જ્ઞાતિએ દૂધમાં સાકળ ભળે તેમ ભળીને આવી જંગી લીડ આપી છે. હવે હું ગામોના રસ્તા, પાણીની વ્યવસ્થા, ગાર્ડન બનાવવા, રિંગ રોડ બનાવવા સહિતના વિકાસ કામો કરીશ. વધુમાં તેઓએ જણાવ્યું કે વાંકાનેરમાં જીતુભાઇ મર્દ માણસ, ટંકારામાં દુલાભાઈ રેડી માણસ, હળવદમાં પ્રકાશ તો તોડી નાખે એવો અને જોડિયામાં મેઘજીભાઈ, હવે ચારેય ટાયર મજબૂત આવી ગયા છે એમાંય હું ડ્રાઇવર છું એટલે હવે કઈ ઘટવા નહિ દઉં તેવુ કાંતીલાલે સભામાં જણાવ્યું હતું.
વિજયસભાના અંતે કાંતિભાઇ અમૃતિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડા , મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે રમૂજ પૂર્વક જણાવ્યું હતું કે હરીફ ઉમેદવાર જયંતીભાઈ પટેલ મારા બનેવી થાય. તેઓ ઘણી વખત મારી સામે હાર્યા છે પણ આ વખતે તો મને દયા આવી ગઈ હતી. અને હવે દૂધમાં સકળ ભળે તેમ ભળી પણ જશે.
મોરબી – માળિયા બેઠકના ઉમેદવાર કાંતિભાઇ અમૃતિયાએ વિજયસભામા કહ્યું કે અમારી ઓફિસમાં છેલ્લા ૩૦ વર્ષમાં એક રૂપિયાનો વહીવટ નથી થયો જેનો મને મારા માણસો ઉપર ગર્વ છે. બાકી કાર્યકર્તાઓ ૨૦ ટકા કે ૩૦ ટકાવાળા કામો કરતા હોય છે. પણ હવે હું કહું છું આવા કામોનો સંકેલી લેજો. હરામના પૈસા ખાવા સારા નથી. અહીં જ ચૂકવા પડે છે.આપણને રખોલુ રાખવા પ્રજા મત આપે છે. તેઓએ વધુમાં કહ્યું કે બુદ્ધિજીવીઓનું સંમેલન યોજયું હતું. જેમાં બે હજાર જેટલા ઉદ્યોગકારો, ડોકટરો, વકીલો, સીએ સહિતના હાજર રહ્યા હતા. આ તમામે આખા જિલ્લાનું વાતાવરણ બનાવ્યું અને જિલ્લાની તમામ સીટ ભાજપને મળી. તમામને કાંતિભાઇ અમૃતિયાએ અભિનંદન પાઠવ્યા હતા. કાંતિલાલ અમૃતિયાએ રોડ રસ્તા વિષે કહ્યું કે હવે રોડની ડિઝાઇન બદલવી પડશે. સમગ્ર રાજ્યમાં રોડ બનાવવા માટેના જે ક્રાઇટ એરિયા છે તે મોરબીમાં લાગુ નહી પડે. કેમ કે અહીંયાં તો સો ટનના વાહનો આવે છે. પછી રોડ ગમે તેટલી વાર બનાવીએ તૂટી જ જાય ને.
કાંતિભાઈ અમૃતીયાએ ઉઘોગકારોને સંબોધીને કહ્યું હતું કે મોરબીથી ૧૩૫ દેશોમાં માલ જાય છે. સેંકડો લોકોને એનાથી રોજગારી મળે છે. એટલે અહીંના ઉદ્યોગોનું વિશેષ ધ્યાન રાખવું પડશે. સરકાર તરફથી તેમને તમામ સાથ સહકાર આપવામાં આવશે તેની કાંતિભાઇ અમૃતિયાએ ખાતરી આપી હતી. તેમજ વેપારીઓને પણ જાહેરમાં જણાવ્યું હતું કે તમારા કોઈ પણ પ્રશ્ન હશે અમે સાથે મળીને હલ કરીશું. કાંતિભાઈ એ એક જૂથ ઉપર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું હતું કે સહકારી સંગઠનમાં ફેરફાર કરીશું. હું આના ભેગો છું. હું તેના ભેગો છું. એવું સંગઠનમાં નહી ચાલે. આપણે જયેશભાઈ અને દિલીપભાઈને કહી દેશું. અને સહકારી સંગઠનમાં જરૂરી ફેરફાર કરીશું.તેમને વધુમાં જણાવ્યું કે કોઈ પણ જગ્યાએ ખોટા કામ થતા હોય, પાવડર વેચાતો હોય કે પેટી ઉતરતી હોય કે અન્ય કોઈ ગેરકાયદેસર કામ થતા હોય મને કહી દેજો. ફોન કરજો કે કાગળ લખજો.હું ક્યાંય નામ જાહેર નહિ કરું. ગેરકાનૂની પ્રવૃત્તિ તુરંત બંધ કરાવીશ. હું કહીશ એટલે પોલીસ આળસ નહિ કરે તેમ કહ્યું હતું. કાંતિભાઈ અમૃતીયાએ જણાવ્યું કે દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે. અને હવે એમના લીધે મોરબીમાં પ્રજાની સરકાર છે. એટલે પ્રજાનું જ રાજ છે. શાંતિથી ધંધા- રોજગાર કરજો. હવે આપણે સાચી દિશામાં સારો વિકાસ કરવાનો છે. તેમજ કાંતિભાઇ અમૃતિયાએ માળિયા વિશે જણાવ્યું કે માળિયા પાસે રેલવે લાઈન છે. પોર્ટ છે. તે વિકાસ કરવા સક્ષમ છે પણ અમુક આગેવાનો કારણે તેનો વિકાસ થઈ શક્યો નથી. જો આ આગેવાનો ઈચ્છે તો હું ૫ વર્ષમાં ૧૦૦ કારખાના લાવી શકું તેમ છું. જેથી ત્યાંના લોકોને રોજીરોટી મેળવવા બીજી જગ્યાએ ન જાવુ પડે.