મોરબી: હવે મળશે મહાનગર પાલિકાનો દરરજો! સરકારે પાલિકા પાસેથી વિગતો મંગાવી
હવે મળશે પાલિકાને મહાનગર પાલિકાનો દરરજો??
મોરબી: સિરામિક સીટી મોરબી તમામ ક્ષેત્રે મહાનગર બનવાને લાયક હોવા છતાં પણ મહાનગરનો દરજ્જો મેળવવામાં સફળ નથી થયું ત્યારે લાંબા સમયની માંગણીને અંતે રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા મહાનગર પાલિકના દરજ્જા માટેની વિગતો માંગતા હાલમાં મોરબી નગર પાલિકા દ્વારા વર્તમાન વસ્તી અને સુવિધા મામલે ફરી એક વાર વિધિવત દરખાસ્ત મોકલી હોવાનું જાણવા મળ્યું છે.
વર્ષ 2004માં મોરબી નગર પાલિકા દ્વારા મોરબી શહેરને મહાનગરનો દરજ્જો આપવા માટે દરખાસ્ત કર્યાને 19 વર્ષ બાદ ફરી એક વખત મોરબીને મહાનગરના દરજ્જા માટેની કાર્યવાહી શરૂ થઈ હોવાની વિગતો પ્રકાશમાં આવી છે, તાજેતરમાં મોરબીની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ મોરબીના વિકાસ માટે મહાનગર બનાવવું આવશ્યક હોય રાજયના શહેરી વિકાસ વિભાગ દ્વારા આ અંગેની વિગતો મંગાવવામાં આવતા મોરબી નગરપાલિકા દ્વારા આનુસંગિક વિગતો મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે.
વધુમાં જાણવા મળ્યા 2011 ની વસ્તી મુજબ મોરબી શહેરની હાલની વસ્તી 1.94 લાખથી વધુ છે પરંતુ જો શનાળા, ત્રાજપર, માધાપર, વજેપર,રવાપર સહિતની વસ્તીઓ સાથે જોડવામાં આવે તો મોરબીની વસ્તી મહાનગર માટે પર્યાપ્ત હોવાનું જણાય છે જેને પગલે મોરબી નગર પાલિકા દ્વારા હાલમાં તમામ પાસાઓને ધ્યાને લઇ મોરબીને મહાનગર પાલિકાના દરજ્જા માટે વિધિવત માહિતી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.