મોરબી ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા તથા નાગરિક પુરવઠા બાબતે બેઠક યોજાઈ
NFSA હેઠળ હજુ વધુ જરૂરિયાતમંદ લોકોને સાંકળી લેવા જણાવતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા
મોરબી: મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા, સિંચાઈ, વાસ્મો તથા નાગરિક પુરવઠા વગેરે બાબતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
જે બેઠક અન્વયે જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જિલ્લાની પાણી પુરવઠાની સ્થિતિ, વાસમોની કામગીરી, અગરિયાઓ માટે પાણીની કરવામાં આવેલી વ્યવસ્થા, જિલ્લાના ટીકર, મેસરીયા ઝોનના ગામ વગેરેના પાણીના પ્રશ્નો, સુજલામ સુફલામ્ યોજના હેઠળની થયેલી કામગીરી અને આયોજન તથા અન્નનો અનિયમિત જથ્થો વગેરે મુદ્દાઓની સમીક્ષા કરી સબંધિત અધિકારીઓની યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું.
વધુમાં મંત્રીએ વિવિધ કામો સમય મર્યાદામાં નિકાલ કરવા જણાવ્યું હતું. ઉપરાંત NFSA હેઠળ હજી વધુ જરૂરિયાતમંદ લોકોને સાંકળી લેવા જણાવ્યું હતું.
આ બેઠક દરમિયાન મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ જિલ્લા પાણી પુરવઠા અધિકારી વાય.એમ. વંકાણીએ મંત્રી સમક્ષ મચ્છુ-૨ ના પાટિયા રિપેર કરવાની કામગીરી અન્વયે પાણી માટેની વૈકલ્પિક વ્યવસ્થા અંગેની સમસ્યા રજૂ કરી હતી. જે અન્વયે મંત્રીએ હકારાત્મક પ્રતિભાવ આપી તે અન્વયે નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ બેઠકમાં મંત્રી સાથે મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પુરવઠા અધિકારી ડી.સી. પરમાર, જિલ્લા પાણી પુરવઠા અધિકારી વાય.એમ. વંકાણી, અગ્રણી અરવિંદ વાંસદડિયા અને જિલ્લાના સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.