મોરબી ઝૂલતા પુલ કેસમાં જયસુખ પટેલનું કોર્ટ સમક્ષ આત્મસમર્પણ
મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ૧૦માં આરોપી તરીકે જોડવામાં આવેલા અજંતા ઓરેવા કંપનીના એમડી અને માલિક એવા જયસુખ પટેલે અંતે નામદાર મોરબી કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરતા મોરબી પોલીસે ધરપકડ માટે તજવીજ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ મુજબ ૩૦ ઓક્ટોબરના રોજ અજંતા ઓરેવા કંપની સંચાલિત મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫ નિર્દોષ લોકોના મૃત્યુ નિપજતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અજંતા ઓરેવા કંપનીના બે મેનેજર સહીત નવ આરોપીઓની ધરપકડ કરી હતી. બાદમાં પોલીસ તપાસમાં અજંતા ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા તપાસનીશ ટીમ દ્વારા જયસુખ પટેલને આરોપી તરીકે જોડવામાં આવ્યો હતો. જો કે અજંતા ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ પોલીસ સમક્ષ હાજર ન થતા પોલીસે નામદાર કોર્ટ મારફતે જયસુખ પટેલ વિરુદ્ધ સીઆરપીસી કલમ ૭૦ મુજબ વોરંટ ઈશ્યુ કરાવતા અંતે આજે જયસુખ પટેલ મોરબી નામદાર કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું જેને પગલે મોરબી પોલીસે આરોપી જયસુખ પટેલની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.