વાંકાનેર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સુંદરકાંડ હનુમાન ચાલીસા પઠન અને 101 દિપ પ્રજ્વવલન દ્વારા નૂતન વર્ષને વધાવ્યું
મોરબીના વાંકાનેરમાં રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા,શિક્ષા કે હિત મેં શિક્ષક, શિક્ષક કે હિત મેં સમાજના મંત્ર ધ્યેય સૂત્ર સાથે કાર્યરત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વર્ષ ૨૦૨૩ ને આવકારવા રાતી દેવળી શાળાના પટાંગણમાં રાત્રે સંકટ મોચન હનુમાનજી મહારાજની આરાધના માટે સુંદર કાંડ અને હનુમાન ચાલીસા પઠનનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આજે લોકો થર્ટી ફર્સ્ટની ઉજવણી કંઈક જુદી રીતે કરતા હોય છે ત્યારે રાષ્ટ્ર હિતને સર્વોપરી માનતા મહાસંઘે ભારતીય સંસ્કૃતિના વારસાને જાળવી રાખવાના ભાગરૂપે આ અનોખું આયોજન કરેલ જેમાં વાંકાનેર સ્ટેટના રાજવી મહારાજા કેસરીદેવસિંહજી ઝાલાના અધ્યક્ષ સ્થાને મોરબી મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા અને મહાસંઘ સૌરાષ્ટ્ર સંભાગના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણીના અતિથિ વિશેષ પદે નૂતન વર્ષની વધામણી કાર્યક્રમની શરૂઆત દેશના યશસ્વી વડાપ્રધાનના માતા હીરાબાના આત્માની શાંતિ અર્થે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું અને કાર્યક્રમની રૂપરેખા આપતા દિનેશભાઈ વડસોલાએ સુંદરકાંડનો પાઠ માતા સ્વ.હીરાબાના આત્માની સદગતિ માટે સમર્પિત કરતા જણાવ્યું કે હનુમાનજી પરમશક્તિ અને ભગવાન રામના પરમ સેવક હતા એમનું નામ સ્મરણ કરવાથી કષ્ટો દૂર થાય છે શક્તિનો સંચાર થાય છે, મયુરસિંહ પરમાર બીઆરસી કો.ઓ.વાંકાનેરે ઉપસ્થિત સૌનું શબ્દપુષ્પથી સ્વાગત કર્યું હતું.
ત્યારબાદ 101 દિપનું પ્રજ્વવલન કરવામાં આવ્યું ત્યારબાદ મહાનુભવોનું સાલ ઓઢાડી અભિવાદન કરવામાં આવ્યું. આ પ્રસંગે મહારાજા કેસરીદેવસિંહજી એ શૈક્ષિક મહાસંઘની આ સુંદર પ્રવૃત્તિને હિન્દૂ સંસ્કૃતિને ઉજાગર કરતો કાર્યક્રમ કરવા બદલ ધન્યવાદ આપ્યા હતા.અને ભારતની પ્રાચીન સંસ્કૃતિને યાદ કરતા જણાવ્યું કે દુનિયાના લોકો જ્યારે અક્ષરજ્ઞાન મેળવતા હતા ત્યારે ભારતમાં પ્લાસ્ટિક સર્જરી થતી હતી પણ કયારેક દેખાદેખીમાં આપણે આપણી સંસ્કૃતિને ભૂલી જતા હોય છે. મંગલદાસ હરીયાણી શિક્ષક અને કથાકારે હનુમાનજી મહારાજના મહાત્મ્ય વિશે વાત કરી હતી ત્યારબાદ મયુરસિંહ ઝાલા અને સંગીતકારો દ્વારા સુંદરકાંડનું સુંદર પઠન કરાવ્યું.