ધીરુબહેન ગોરધનભાઈ પટેલ: પાટીદાર સમાજનું ગૌરવ
(જ. 29 મે 1926, વડોદરા) : ગુજરાતી સાહિત્યમાં નવલકથા, ટૂંકી વાર્તા, નાટક, અનુવાદ, બાળસાહિત્ય વગેરે ક્ષેત્રે નોંધપાત્ર અર્પણ કરનાર અગ્રણી લેખિકા.
માતાનું નામ ગંગાબહેન. વતન ધર્મજ, પણ ઉછેર મુંબઈમાં. માતા ગંગાબહેન માત્ર દોઢ ચોપડીનું શિક્ષણ પામેલાં અને ત્રણ વર્ષની વયે તો પરણી ગયેલાં; પણ પતિની છત્રછાયામાં રહી તેમણે ગુજરાતી ઉપરાંત સંસ્કૃત અને અંગ્રેજીનો અભ્યાસ કર્યો અને પ્રભાવક વક્તા બન્યાં. સ્વાતંત્ર્યસંગ્રામનાં વર્ષો દરમિયાન ગંગાબહેન ગાંધીભાવનાથી રંગાયેલાં. સત્યાગ્રહી તરીકે છ વાર કારાવાસ ભોગવેલો. તેઓ લેખિકા પણ હતાં. ધીરુબહેનના પિતા અંગ્રેજી અને ગુજરાતી પત્રકારત્વના ક્ષેત્રે સક્રિય હતા. આવાં માતા-પિતાનો શિક્ષણ-સંસ્કાર અને સાહિત્યલેખનનો સમૃદ્ધ વારસો ધીરુબહેનને ગળથૂથીમાંથી સાંપડ્યો હતો અને તેમણે તે સવાયો કરીને આપ્યો. તેમણે શાળાશિક્ષણ સાન્તાક્રૂઝની પોદ્દાર હાઈસ્કૂલમાં અને ઉચ્ચશિક્ષણ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં લીધેલું. 1945માં અંગ્રેજી વિષય સાથે બી.એ. થયાં. 1948માં એમ.એ. થઈ અંધેરીની ભવન્સ કૉલેજમાં (1949થી 1963 સુધી) અને દહીંસરની કૉલેજમાં (1963-64) અંગ્રેજીનાં અધ્યાપિકા તરીકે કામ કરેલું. થોડાં વર્ષો પ્રકાશન સંસ્થા ‘આનંદ પબ્લિશર્સ’નું સંચાલન પણ સંભાળેલું. 1963-64થી પોતાનું ‘કલ્કિ પ્રકાશન’ પણ શરૂ કરેલું. 1975 સુધી ‘સુધા’ સાપ્તાહિકનાં તંત્રીપદે રહેલાં. લેખનનો પ્રારંભ તેમણે અંગ્રેજીમાં કરેલો; પછી ગુજરાતીમાં કર્યું. ગુજરાતી સાહિત્ય પરિષદનાં મંત્રી તરીકે તેમણે બજાવેલી કામગીરી નોંધપાત્ર છે. ઈ. સ. 2003ના વર્ષનાં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખ હતાં.
એમનાં નાટકો છે. ‘મનનો માનેલો’ જેવું રેડિયો-નાટક, ‘નમણી નાગરવેલ’ (1961) જેવો એકાંકીસંગ્રહ મળ્યાં છે.
બાળસાહિત્યક્ષેત્રે તેમનું વિશિષ્ટ પ્રદાન છે. ‘અંડેરી ગંડેરી ટીપરીટેન’ (1966) અને ‘સૂતરફેણી’ તેમનાં ભજવાયેલાં બાળનાટકો છે. ‘ગગનચાંદનું ગધેડું’ અને ‘ગોરો આવ્યો’ એ બાળનાટકો પણ તેમની પાસેથી મળ્યાં છે. ‘બતકનું બચ્ચું’ (1982) બાળવાર્તાઓનો સંગ્રહ છે. આ વાર્તાઓમાં પ્રયોજાયેલી પદ્યકંડિકાઓથી તેની બાળભોગ્યતા વધી છે. તેમની પાસેથી ‘મિત્રાનાં જોડકણાં’ (1973) મળ્યાં છે. માર્ક ટ્વેઇનની પ્રશિષ્ટ અને પ્રસિદ્ધ કૃતિ ‘ટૉમ સૉયર’ (ભાગ 12, 1960, 1966) અને ‘હકલબરી ફિનનાં પરાક્રમો’ (1967) અનુવાદ રૂપે આપેલ છે. ‘ભવની ભવાઈ’ નામક કેતન મહેતાની ફિલ્મની પટકથા તેમણે લખી હતી. ‘હારૂન, અરુણ’ ચલચિત્ર પણ તેમની બાળકથાને આધારે થયું છે. ‘મમ્મી, તું આવી કેવી ?’, ‘લખોટીનો મહેલ’, ‘છબીલના છબરડા’ વગેરે તેમનાં સુંદર બાળનાટકો છે.
તેમને અનેક પુરસ્કારો-ચંદ્રકો મળ્યા છે. 1980માં તેમને ગુજરાત સાહિત્ય સભાનો પ્રતિષ્ઠિત રણજિતરામ સુવર્ણચંદ્રક અપાયો હતો. તેમને ક. મા. મુનશી સુવર્ણચંદ્રક, દિલ્હી સાહિત્ય અકાદેમી તરફથી 2001નો ઍવૉર્ડ, ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી 2002નો ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’, દિલ્હી સાહિત્ય અકાદેમી તરફથી 2015નો ‘બાલસાહિત્ય પુરસ્કાર’ અને એ પછી ‘કાવ્યમુદ્રા ઍવૉર્ડ’ પ્રાપ્ત થયા છે.
એક ઉત્તમ કોટિના કથાસર્જક તરીકે અને બાળસાહિત્યકાર તરીકે તેઓ હંમેશ યાદ રહેશે. તેમનું સર્જનકાર્ય કલમ આજે થંભી ગઈ છે. બેનજી અક્ષરદેહથી કાયમ યાદ રહેશે.