રોંદણા રોતી મોરબી પાલિકા ! પ્રમુખ અને સદસ્યોના અલગ અલગ જવાબ, બંને નિર્દોષ હોવાનું રટણ
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના અંગે ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા નગરપાલિકાને સુપરસીડ કેમ ન કરવી તે અંગેની કારણદર્શક નોટિસનો જવાબ આપવા આજરોજ મોરબી નગરપાલિકાની ખાસ સાધારણ સભા યોજાઈ હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા ૩૨ પાનાનો જવાબ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે, નગરપાલિકા હસ્તકના ઝૂલતા પુલનું એગ્રીમેન્ટ ૮ તારીખે થયું જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેને સહી કરી છે પરંતુ આ સહી માત્રને માત્ર પંચ રોજકામમાં જ છે. આ ઝૂલતો પુલ આપ્યો એવો કોઈ નિર્ણય નથી કર્યો, જે તે સમયે ઓરેવાને પુલ સોંપવામાં જિલ્લા કલેકટર સાથે જ ચર્ચા કરી ઓરેવાને સોંપવામાં આવ્યો હોય નગરપાલિકા અધિનિયમ ૨૬૩ મુજબ મોરબી નગરપાલિકાના કોઈ પણ સદસ્ય જવાબદાર નહીં હોવાનું આ જવાબમાં જણાવવામાં આવ્યું છે.
બીજી તરફ મોરબી નગરપાલિકાના સદસ્ય ભાવિકભાઈ જારીયા દ્વારા બહુમત સભ્યોની સહી અને સોગંદનામા સાથે પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સહીત છ સભ્યોના જવાબથી અલગથી જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ એકટ ૬૫-૨ મુજબ ૧૦ લાખથી વધુની પ્રોપર્ટી સાધારણ સભા અને સરકારની મંજૂરીથી જ હોવુ જોઈએ પરંતુ ઝૂલતા પુલ પ્રકરણમાં આ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી. વધુમાં નગરપાલિકા અને ઓરેવા કંપની વચ્ચે થયેલા ઠરાવ અંગે મોટાભાગના સદસ્યો અજાણ હોવાનું અને આ બાબતે કોઈપણ પ્રકારની જાણકારી તેમની પાસે ન હોવાનો અલગ જવાબ રજૂ કરવામાં આવતા મોરબી નગરપાલિકામાં ચાલી રહેલો આંતરીક ખટરાગ ઉડીને આંખે વળગવાની સાથે સરકાર સુધી પહોંચી ગયો છે.
