મોરબીના સિરામિક ઉદ્યોગપતિનુ અપહરણ કરી પાંચ લાખની ખંડણી વસુલી આરોપીઓ ફરાર
મોરબી: મોરબીના સિરામિક ઉદ્યોગપતિ કારખાનેથી પરત આવતા હોય ત્યારે કેટલાક લુખ્ખા તત્વોએ બાઈકને ધક્કો મારી પછાડી દઈને છરી બતાવી ધમકી આપી ઉઘોગપતિનુ અપહરણ કરી ગયા હતા અને કારખાનામાં કામ કરતા ત્યારનો દોઢ લાખનો હિસાબ બાકી છે જેના બદલે દશ લાખની માંગણી કરી હતી અને ઉદ્યોગપતિ પાસેથી પાંચ લાખની વસુલી કરીને ઉઘોગપતિને અમદાવાદ પાસે ઉતારી આરોપીઓ નાસી ગયા હતા.
મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર કેનાલ રોડ પર રહેતા જીજ્ઞેશભાઈ મહાદેવભાઈ ભટ્ટાસણાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે સવારના ઉધોગપતિ જીગ્નેશભાઈ મહાદેવભાઈ ભટ્ટાસણા કારખાને જવા નીકળ્યા હતા ત્યારે તળાવીયા શનાળા ગામ નજીક પહોચતા એક ઇસમે તેને ધક્કો મારતા બાઈક સાથે રોડ પર પડી ગયા હતા અને બાદમાં મોઢું દબાવીને ઉધોગપતિ જીગ્નેશભાઈને ઇકો કારમાં બેસાડીને અપહરણ કરી લઇ ગયા હતા ત્યારબાદ અપહરણ કર્તાં આરોપી મનોજ ઉર્ફે ટાપન અગાઉ ફરિયાદી જીગ્નેશભાઈના કારખાનમાં કામ કરતો હતો. આરોપી મનોજે જીગ્નેશભાઈ પાસે દોઢ લાખ લેવાના નીકળે છે અવારનવાર માગવા છતાં આપતા નથી તેમ કહી ૧૦ લાખની ખંડણી માગી હતી અને મનોજે છરી બતાવી જીગ્નેશભાઈ પાસેથી ૫ લાખ પડાવાયા હતા અને નારોલ નજીક ઉતારી નાશી ગયા હતા. અને આરોપી મનોજ ઉર્ફે ટાપન હરિહારી બહેરા, પવન ખુમસિંગ મજરા, રાજકુમાર, ઇકોકારનો ડ્રાઈવર અને જયંતાકુમાર હરિહર બહેરાએ જીગ્નેશભાઈનું અપહરણ કરી ૫ લાખની ખંડણી વસુલી હતી. જે મામલે ઉઘોગપતિએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.