મોરબી: બસ સ્ટેન્ડ ખુલ્લું મુકવામાં શેની આળસ છે ?
જો આગામી દિવસોમાં લોકાર્પણ નહીં થાય તો પ્રજાહિતમાં જાતે ખુલ્લું બસસ્ટેન્ડ મૂકવું પડશે : કોંગ્રેસ
મોરબીના શનાળા રોડ ઉપર આવેલું નવું બસ સ્ટેન્ડનું મોટાભાગનું કામ પૂર્ણ થયું ગયું હોવા છતાં લોકાર્પણના વાંકે હજુ સુધી નવું બસ સ્ટેન્ડ ખુલ્લું મુકાયું નથી. તેથી મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે. ત્યારે આ મામલે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને સત્વરે ઉદ્ઘાટન કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને સપ્તાહમાં લોકાપર્ણ કરીને ખુલ્લું મુકવામાં નહિ આવે તો કોંગ્રેસ દ્વારા ખુલ્લું મુકવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે મોરબી શહેર જીલ્લાની પ્રજાને સુવિધા મળી રહે તે માટે બસ સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. પરંતુ નવા બસ સ્ટેશનનું કામ ઘણા સમય થયા પૂર્ણ થઈ જવા પામેલ છે. છતાં આ બસ સ્ટેશન પ્રજાની સુવિધા માટે ખુલ્લુ મૂકવામાં આવેલ નથી. જાણે કોઈ નેતા પાસે નવું બસ સ્ટેશન લોકો માટે ખુલ્લુ મૂકવાનો સમય ના હોય તેવું લોકોને લાગી રહયું છે. અને પ્રજા આવા ધોમધખતા તડકામાં શેકાય રહેલ છે.
તો આ બસ સ્ટેશનને તાત્કાલિક ધોરણે ખુલ્લુ મૂકવાની માંગ કરવામાં આવી છે તેમજ જો તાત્કાલિક બસ સ્ટેન્ડ ખુલ્લું મુકવામાં નહિ આવે તો સાત દિવસ પછી કોંગ્રેસ પ્રજાને સાથે રાખી પ્રજાની સુવિધા માટે બસ સ્ટેન્ડ ખુલ્લું મુકશે તેમ જણાવ્યું છે