મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ- મોરબી દ્વારા ૧૨ જૂનને રવિવારના રોજ સમૂહ લગ્નોત્સવ/ યજ્ઞોપવિત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંસ્થા દ્વારા છેલ્લા ૩૮ વર્ષથી દર બે વર્ષે સમસ્ત બ્રહ્મ પરિવારના દીકરા તેમજ દીકરીઓ માટે સમૂહ લગ્નોત્સવ/ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવે છે. અને તા.૧૨ જૂનના રોજ ૧૮મો સમૂહ લગ્નોત્સવ અને યજ્ઞોપવિત સમારોહ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. જેમાં બે યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને ૨૨ બટુકોએ યજ્ઞોપવિત ધારણ કર્યાં હતા.
આ સમારોહમાં દીકરીઓને કરિયાવરમાં ૧૩૫ થી વધુ વસ્તુ અને બટુકોને ૩૦ થી વધુ વસ્તુઓ દાતાઓ તરફથી આપવામાં આવી હતી. આ સમારોહમાં આચાર્ય પદે વિમલભાઈ જોશી, અમિતભાઈ પંડ્યા તથા આશિષભાઈ મહેતા દ્વારા વૈદિક મંત્રોચારથી વિધિ સંપન્ન કરાઈ હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતા તથા મહામંત્રી મધુસુદનભાઈ ઠાકર તેમજ સર્વે ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઊઠાવી હતી.
