હળવદ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ ક્યારે બંધ થશે તે અંગે ખેડૂતોમાં મૂંઝવણ સર્જાઈ છે, કારણ કે ઘણા ખેડૂતો ઉનાળુ વાવેતર અંગે નિર્ણય લેવા માટે રાહ જોઈ રહ્યા છે. આ મુદ્દે હળવદ-ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ મુજબ નર્મદા કેનાલનું પાણી 15 માર્ચ સુધી ચાલુ રાખવાનું આયોજન છે.
તેમણે વધુમાં જણાવ્યું કે જો ખેડૂતોને પાણીની જરૂરિયાત રહેશે તો પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાંચથી સાત દિવસ સુધી પાણી પુરવઠો વધારવાનો પણ વિચાર કરવામાં આવશે. આ માહિતીથી ખેડૂતોને થોડી રાહત મળી છે, જોકે ઉનાળુ વાવેતર અંગે અંતિમ નિર્ણય લેવા માટે હજુ પણ ખેડૂતો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ બાબતે ધારાસભ્ય શ્રી અથવા નર્મદાના અધિકારીઓ દ્વારા ચોક્કસ તારીખની સ્પષ્ટતા કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.






