14 વર્ષથી ચાલતી ઉમા આરોગ્ય સેવા ફાઉન્ડેશનનો લાભ 30 હજાર દર્દીઓએ લીધો
દર્દીઓની સેવા એ જ સર્વોતમ સેવા છે એવા ઉદ્દેશ્યથી આજથી 14 વર્ષ પહેલા અમદાવાદમાં શરૂ થયેલી એક સંસ્થા એટલે ઉમા આરોગ્ય સેવા ફાઉન્ડેશન. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ એટલે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ. અહીં રોજના હજારો દર્દીઓ સારવાર લેતા હશે. અને એમા તો કેટલાયનો મહિનાઓ સુધી હોસ્પિટલમાં રોકવાનો વારો આવતો હશે. હવે આવા હોસ્પિટલમાં મહિનાઓ સુધી દર્દીઓ સાથે રહેતા પરિવારજનોનું શું થતું હશે? તેમની રહેવા જમવાની વ્યવસ્થા કોણ કરતું હશે. આ તમામ પ્રશ્નોના જવાબ સ્વરૂપે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના અમદાવાદમાં વસતા દિર્ઘદ્રષ્ટાઓને 2009માં આવેલા એક વિચાર આવ્યો અને ઉમા આરોગ્ય સેવા ફાઉન્ડેશનનો પાયો નંખાયો.
સૌરાષ્ટ્રની એક હોસ્પિટલોના ધક્કા ખાધા બાદ પણ બિમારીનો ઈલાજ ન કરી શકનાર દર્દીઓ અંતે મોટી બિમારી લઈ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ આવતા હશે. આ દર્દીઓના પરિવારજનોને રહેવા-જમવા માટે હોટેલોમાં રોકાવાનો વારો ન આવે એટલે ઉમા આરોગ્ય સેવા ફાઉન્ડેશન આવા દર્દીઓને પરિવાજનોને મફતમાં રહેવા અને જમવાની વ્યવસ્થા કરે છે. અને અધુરામાં પુરૂ સમદુખીયારા ભેગા થાય એટલે પોતાનું દુઃખ પણ ભુલાઈ જાય. સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજનો કોઈ પણ પરિવાર અમદાવાદમાં સારવાર માટે આવે એટલે એનું એક જ સરનામું હોય ઉમા આરોગ્ય સેવા ફાઉન્ડેશન.
આ અંગે વાત કરતાં સંસ્થા પ્રમુખ મગનભાઈ જાવિયા જણાવે છે કે અત્યાર સુધીમાં 14 વર્ષમાં લગભગ 30 હજારથી વધુ પરિવારોએ આ સંસ્થાનો લાભ લીધો છે. અને 1.5 લાખથી વધુ સમાજ લોકોએ સંસ્થાની વિઝિટ કરી છે. આવી સેવાભાવી સંસ્થા ઉમા આરોગ્ય સેવા ફાઉન્ડેશનના લાભાર્થે અમદાવાદના ઓગણજ ખાતે દાતાઓના સન્માન અને શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજાયો હતો. 14 વર્ષમાં સંસ્થાને 1 રૂપિયાથી લઈ 15 લાખ સુધીનું દાન આપનાર લગભગ 250થી વધુ દાતાશ્રીઓનું સન્માન કરાયું છે. તો સાથે જ અમદાવાદમાં વસતા સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના 5000થી વધુ પરિવારજનોએ શ્રીનાથજીની ઝાંખીનો લાભ લીધો છે.
