૨૮ પશુઓને સાઈનાઇડ પોઇઝનની અસર થતા દોડી જઈ અબોલા જીવોનો જીવ બચાવ્યો
મોરબી: સરકારની ફરતા પશુ દવાખાના – ૧૯૬૨ ની યોજનાથી મોરબી જિલ્લામાં ૨૮ ભેંસોનો જીવ બચી ગયો હતો. જ્યાં આજરોજ તા.૦૭/૦૬/૨૩ ના રોજ ટંકારા તાલુકાના લજાઈ ગામે ભીમનાથ મહાદેવ મંદિર પાસે આવેલ વિજયભાઈ ધનજીભાઈ ચાડમીયા અને મનસુખભાઈ દેવજીભાઈ કાસુન્દ્રા ના ૫૫ (પંચાવન) ભેંસોના ડેરી ફાર્મમાં સવારમાં પોતાના જ ખેતરમાં રહેલ જુવાર (ચીમડી) માં ચારતા કુલ ૨૮ ભેંસને જુવારમાં રહેલ ઝેરી તત્વ સાઈનાઇડ પોઈઝનની અસર થઈ ગઈ હતી.જેની જાણ પશુ દવાખાના લજાઈ અને ટંકારાને કરતા ૧૯૬૨ ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ડો. વિમલ વસીયાણી અને ડો. વિજય ભોરણીયાના સહિત ૧૯૬૨ ના ડોક્ટરની ટીમ દ્વારા સઘન એન્ટીડોટ સાથે સારવાર કરતા તમામ પશુઓની હાલત સુધારા પર આવી હતી જેથી આ પશુ માલિકોને મોટું આર્થિક નુકશાન થતું અટક્યું હતું. પશુ માલિકોએ પશુ ડોક્ટર્સ અને તેમની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
સરકાર દ્વારા ગામડાઓમાં પશુઓને સમયસર આધુનિક સારવાર મળી રહે તેવા હેતુથી ગામડાઓમાં ફરતાં પશુ દવાખાના – ૧૯૬૨ હેલ્પલાઇન અને વાન શરૂ કરાઈ છે. જે વિકટ પરિસ્થિતિમાં ગામડાઓમાં પશુઓ તથા પશુપાલકો માટે સંકટ સમયની સાંકળ પુરવાર થઈ રહી છે.
