મોરબી નવલખી બ્રીજ પરથી થર્મોકોલ સીટમાં જામેલી સિમેન્ટના પોપડા પડ્યા હોવાનું આવ્યું સામે
મોરબી: મોરબીના શનાળા બાયપાસથી કંડલા નેશનલ હાઈવેને જોડતા રોડ પર નવલખી ચોકડી તરીકે જાણીતા ચાર રસ્તા પર મકાન વિભાગ દ્વારા ફાટક પર ઓવર બ્રીજ બનાવેલ છે. જોકે આ બ્રીજ બન્યા બાદ અવારનવાર વિવાદમાં રહ્યો છે. ત્યારે મોરબી બાયપાસ ઉપર નવલખી રેલવે ફાટક પાસે બનાવવામાં આવેલ ઓવરબ્રીજમાંથી પોપડા ખરવા લાગ્યા હતા. અચાનક આ રીતે નવા બનેલા બ્રીજનો ભાગ તૂટી પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો જોકે આ બ્રીજના પોપડામાં કોઈ જાન હાની થઇ ન હતી.
આ ઘટના અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા ટીમોને ઘટના સ્થળે દોડાવવામાં આવી હતી અને સ્થાનિક જગ્યાએ તપાસ કરતા ઓવરબ્રિજના બે જોઈન્ટ વચ્ચે થર્મોકોલ સીટ નાખીને સિમેન્ટ ભરવા સમયે સિમેન્ટ સ્લરી નીતરીને પુલ નીચે ઉતર્યા બાદ આ સ્લરીના અવશેષૉ ખરી પડ્યાનું સામે આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈ અને ન માત્ર મોરબી નવલખી રોડ પરંતુ મોરબી ભક્તિનગર, ટંકારા અને મીતાણા ઓવરબ્રીજમાં થર્મોકોલ સ્લરી દુર કરવા કોન્ટ્રકટરને આદેશ કરાયો છે.