3-4 સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની નવી દિલ્હી ખાતે બેઠક યોજાશે ; બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની અપેક્ષા
મળતી માહિતી મુજબ આગામી ૩-૪ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ જીએસટી કાઉન્સિલની ૫૬ મી બેઠક નવી દિલ્હી ખાતે યોજાશે. આ બેઠકમાં દિવાળી પહેલા ટેક્સ ઘટાડવાના નિર્ણયો લેવામાં આવશે તેમજ આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની અપેક્ષા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.
કાઉન્સિલની આ બેઠકમાં તહેવારો પહેલા ટેક્સ સ્લેબમાં કેટલીક રાહત, મોંઘી બની ગયેલી રોજિંદા વસ્તુઓ પર જીએસટી દરમાં ઘટાડો અને નાના વેપારીઓ માટે પાલન સરળ બનાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત વીમા, રિયલ એસ્ટેટ અને ઈ-કોમર્સ ક્ષેત્રને લગતા પ્રસ્તાવોને પણ એજન્ડામાં સામેલ કરી શકાય છે.
જાહેરાત મુજબ ૨ સપ્ટેમ્બરે અધિકારીઓની બેઠક, ૩ સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની મુખ્ય બેઠક (સવારે ૧૧ વાગ્યાથી), ૪ સપ્ટેમ્બરે કાઉન્સિલની બીજી બેઠક (સવારે ૧૧ વાગ્યાથી) શરૂ થશે. આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણામંત્રીઓ હાજરી આપશે. આ ઉપરાંત નાણામંત્રી નિર્મલા સીતારમણ, રાજ્યમંત્રી (નાણા) અને CBIC ચેરમેન પણ હાજર રહેશે.
દિવાળી પહેલાની આ બેઠક ખાસ માનવામાં આવી રહી છે. સામાન્ય રીતે તહેવારો પહેલા સરકાર લોકોને મોંઘવારીથી થોડી રાહત આપવા અને બજારમાં માંગ વધારવાનો પ્રયાસ કરે છે. આ સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વખતે ગ્રાહક માલ અને FMCG ઉત્પાદનો પર ટેક્સ ઘટાડવા પર વિચારણા થઈ શકે છે. આ ઉપરાંત નાના વેપારીઓ અને સ્ટાર્ટઅપ્સ માટે GST ફાઇલિંગને સરળ બનાવવા અને રિફંડ પ્રક્રિયા ઝડપી બનાવવા પર પણ ચર્ચા થશે.
હાલમાં GSTના ચાર સ્લેબ છે, જેમાં ૫%, ૧૨%, ૧૮% અને ૨૮%નો સમાવેશ થાય છે. નવા માળખા હેઠળ, ૧૨% અને ૨૮%ના દરો નાબૂદ કરવામાં આવશે. આ સ્થિતિમાં હવે મોટાભાગની વસ્તુઓ અને સેવાઓ ૫% અથવા ૧૮%ના દાયરામાં આવશે. જોકે તમાકુ અને કેટલીક લક્ઝરી વસ્તુઓ અને અતિ લક્ઝરી વસ્તુઓ પર ૪૦% નો ઊંચો કર લાગુ રહેશે તેવી શક્યતાઓ છે.