મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબી દ્વારા પક્ષઘાતગ્રસ્ત દર્દીને મદદ કરાઈ
મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા માનવ સેવા અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા એક મહત્વપૂર્ણ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું. પરિવારની રીડની હડી સમાન એક પુરુષને પક્ષઘાત (પેરાલિસિસ) થયો હતો, જેના કારણે સારવારની જરૂરિયાત હતી, પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે સંપૂર્ણ સારવાર શક્ય બની નહોતી.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ તેઓને એક મહિનાની ફિઝિયોથેરાપી પ્રક્રિયા માટે સહાય રકમ પ્રદાન કરી, જેથી તેઓ ઝડપથી સ્વસ્થ થઇ ફરી પરિવાર અને સમાજ માટે પોતાની ભૂમિકા નિભાવવામાં સક્ષમ બને. મુસ્કાન વેલ્ફેર સોસાયટી તરફથી જણાવાયું કે સંસ્થા ભવિષ્યમાં પણ આવા માનવતાભર્યા અને સેવાકીય કાર્યો ચાલુ રાખશે અને સમાજ માટે એક પ્રેરણાસ્ત્રોત બની રહેશે. સંસ્થા તથા સમગ્ર મુસ્કાન પરિવાર તરફથી દર્દીના જલ્દી આરોગ્યલાભ માટે શુભેચ્છાઓ.