મોરબીના બગથળા ખાતે 23 સપ્ટેમ્બરે મેગા આયુષ કેમ્પ યોજાશે
આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સુચના તથા મોરબી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અન્વયે જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા, મોરબી દ્વારા મોરબી જિલ્લામાં તા. ૨૩-૦૯-૨૦૨૫ના રોજ સવારે ૯:૦૦ થી ૪:૦૦ દરમિયાન પટેલ સમાજ વાડી, બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ (આયુર્વેદ -હોમી. નિદાન સારવાર-કેમ્પ)”નું આયોજન કરવામાં આવ્યું છે.
આ મેગા આયુષ કેમ્પમાં તમામ રોગો માટે આયુર્વેદ નિદાન – સારવાર અને હોમીયોપથીક નિદાન – સારવાર કેમ્પ, વિવિધ આરોગ્યવર્ધક વાનગીઓનું પોસ્ટર તથા જીવંત પ્રદર્શન, દિનચર્યા, ઋતુચર્યા, વિરૂધ્ધઆહાર, આપણી આસપાસ ઉગતી વનસ્પતિઓની સમજ આપતું પ્રદર્શન, હોમિયોપેથી સારવાર પદ્ધતિની માહિતી અને પ્રદર્શન ૦ થી ૫ વર્ષના બાળકો માટે સુવર્ણ પ્રાશન, હરસ, મસા, ભગંદર જેવા રોગોમાં અસરકારક આયુર્વેદ સારવાર, સાંધાના દુ:ખાવાના દર્દીઓ માટે અગ્નિકર્મ ચિકિત્સા, સ્વાસ્થ્યવર્ધક આયુર્વેદ પીણુ – “હર્બલ ડ્રીંક” નુ વિતરણ કરવામાં આવશે.
ઉપરાંત ઋતુજન્ય રોગચાળા સામે રક્ષણ આપતા ડ્રાય ઉકાળા, સંશમની વટી તથા આર્સેનિક આલ્બમનું વિતરણ કરવામાં આવશે અને હાઇસ્કુલ ખાતે આયુર્વેદ ક્વીઝ તેમજ રેલી દ્વારા આયુર્વેદની જનજાગૃતિ સહિતની પ્રવૃતિઓ કરવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા મોરબી જિલ્લાવાસીઓને જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય એચ. એમ. જેતપરીયાની યાદીમાં જણાવાયું છે.