મોરબી જિલ્લાએ સમગ્ર ભારત અને વિશ્વભરમાં ઓદ્યોગિક નગરી તરીકે ખૂબ નામના મેળવી છે. એક સમયે સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાતું મોરબી હાલ ઘણી સમસ્યાઓ થી પીડાય રહ્યું છે.
એક સમયે ભારતભરમાં સવથી વધુ માથાદીઠ આવક ધરાવતું મોરબી અને મોરબી વાસીઓ હાલ સસ્તી રાજનીતિમાં સપડાઈ ગયા છે. ચૂંટણી સમયે મીઠા વાયદાઓ કરતા નેતાઓને જાણે મોરબી અને મોરબીની જનતા માટે હવે કોઈ રસ રહ્યો જ ના હોય તેવું લાગી રહ્યું છે.
જિલ્લામાં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ન તેમજ જિલ્લાની પરિસ્થિતિની વાત કરીએ તો કદાચ એક આર્ટીકલ તો ટૂંકું પડે. ગટરના પ્રશ્ન હોય કે પાણી , ટ્રાફિક ની સમસ્યા હોય કે રોડ રસ્તા, મોરબીની જનતા મચ્છુ નદીને માતા તરીકે પૂજે છે, પરંતુ હાલ મચ્છુ નદીની હાલત પણ ખૂબ ખરાબ છે, નદીના મોટા ભાગના પટમા ગાંડી વેલ ઉગી નીકળી છે, અવારનવાર અરજીઓ કરવામાં આવે છે પરંતુ તંત્રને તો મચ્છુ નદીની સારસંભાળ રાખવા માટે કોઈ રસ નથી. જિલ્લાની જનતા આ તમામ પ્રશ્નો થી ત્રાહિમામ પોકારી ઉઠી છે. તો કેટકેટલા પ્રશ્નો સત્તાના ડરના કારણે બહાર આવતા નથી.
પરંતુ ઉચ્ચ કક્ષાના નેતાઓને લાગી રહ્યું છે કે મોરબી જિલ્લામાં કાયદો અને તમામ વ્યવસ્થાની સ્થિતિ ખૂબ સારી છે. શું સાચે એવું છે ??
મોરબી માં બે જ જાહેર બાગ આવેલ છે જે બંને ની હાલત હાલ ખૂબ જ દયનીય છે. રોડ રસ્તાની સ્થિતિનો ઉલ્લેખ કરવા માટે મોરબીના ઉદ્યોગકારો અને જનતા કારમાં બેનર લગાવીને નીકળવું પડ્યું હતું કે ” મોરબીમાં ખાડા કે ખાડામાં મોરબી” . તો બીજી તરફ લાયન્સનગર જેવા વિસ્તારમાં તો રોડની વચ્ચે જ ગટરના પાણી આખું વર્ષ રહે છે. એક તરફ જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે તો બીજી તરફ સરકારી બાબુઓ ભ્રષ્ટાચાર કરી પોતના ગજવા ભરવામાં પડ્યા છે.
મોરબી વાસીઓ હંમેશને માટે સારી પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત રહેશે કે ખરેખર સારી સુવિધાઓ મળશે એક સવાલ છે
