ટાઇલ્સ, સેનેટરી વેર અને અન્ય સિરામિક પ્રોડક્ટ ઉપર લાગતા GST ઘટાડા માટે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા રજુઆત
મોરબી જીલ્લો સિરામિક ઉદ્યોગ માટે મુખ્ય હબ છે ત્યારે ટાઇલ્સ, સેનિટરી વેર અને અન્ય સિરામિક પ્રોડક્ટ ઉપર લાગતા GST ને ૧૮% થી ઘટાડીને ૫% કરવા માટે લઘુ ઉદ્યોગ ભારતી મોરબી જીલ્લા દ્વારા સરકારને રજૂઆત કરી માંગ કરી છે.
ટાઇલ્સ, સેનિટરી વેર અને અન્ય સિરામિક પ્રોડકટ ઉપર લાગતા GST ઘટાડા માટે રજૂ કરવામાં આવેલ મુખ્ય કારણો:-
૧. મોરબી વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટુ ટાઇલ્સ અને સેનિટરી વેર ઉત્પાદન કરતું ક્લસ્ટર છે જેમાં ૯૦૦ થી વધારે યુનિટો આવેલા છે જે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ૧૦ લાખ થી વધુ લોકો ને રોજગારી પુરી પાડવામાં સહાયક બની રહ્યા છે.
૨. ટાઇલ્સના વિકલ્પમાં માર્બલ ઉપલબ્ધ છે જે ટાઇલ્સ કરતા ૪૦ થી ૬૦ % મોંઘો છે. આ સિવાય ટાઇલ્સ નો બીજો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી.
૩. મોરબીનું વાર્ષિક ટર્ન ઓવર ૭૦,૦૦૦ કરોડ થી વધારે છે અને એક્સપોર્ટનું ટર્ન ઓવર ૧૫,૦૦૦ કરોડ થી વધારે છે જે ભારતના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે.
૪. ભારતના ૯૦% થી વધુ લોકો ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો છે જેમના માટે નાનું મકાન પણ સપનું હોય છે અને તેમના સપનાના ઘર માટે ટાઇલ્સ કે સેનિટરી વેર આઇટમ લક્ઝરી પ્રોડક્ટ નહીં પરંતુ જરૂરિયાત છે.
૫. ટાઇલ્સ અને અન્ય સિરામિક પ્રોડક્ટના જીએસટી ઘટાડાથી મકાન નું કોસ્ટિંગ ૭-૮ % ઘટશે જે લાખો પરિવારોને તેમના સ્વપ્નનું ઘર બનાવવામાં આશીર્વાદરૂપ છે.
૬. મોરબીના ઉદ્યોગો MSME કેટેગરીમાં આવે છે જે ખૂબ પાતળા માર્જિન સાથે વેપાર કરે છે.
૭. જીએસટી માં ઘટાડો તમામ ઉદ્યોગો માટે ફાયદાકારક નીવડશે
૮. પ્રધાનમંત્રી આવસ યોજના જેવી અનેક યોજનાઓને વેગ મળશે જેનાથી સમાજના પછાત અને ગરીબ વર્ગને ખૂબ ફાયદો થશે.