મોબાઈલના વ્યસને જીવ લીધો: પિતાએ ફોન આપવાની ના કહી ભણવામાં ધ્યાન આપવા માટે ઠપકો આપતાં સગીરાએ ગળેફાંસો ખાધો
હળવદ: આજે મોટાભાગના બાળકોથી માંડી યુવાનો અને મહિલાઓમાં મોબાઇલનું વળગણ વકરી રહ્યું છે. ભૂતકાળમાં પણ મોબાઈલ મોતનું કારણ બન્યો હોવાના અનેક કિસ્સાઓ બન્યા છે તેવામાં હળવદમાં મોબાઈલ આપઘાતનું કારણ બન્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં હળવદ તાલુકાના દેવીપુરા ગામની ૧૬ વર્ષની સગીરાને પીતાએ મોબાઈલ આપવાની ના કહી ભણવામાં ધ્યાન આપવા માટે ઠપકો આપતા સગીરાએ આપઘાત કરી લીધાનું બહાર આવ્યું છે.
હળવદમાં બનેલી આપઘાતની ઘટના વાલીઓ માટે ચેતવણીરૂપ બની છે. મળતી માહિતી મુજબ માધવીબેન મહેશભાઇ તારબુંદિયા ઉ.વ.૧૬ રહે દેવીપુર ગામ, તા.હળવદ જી. મોરબી વાળી નાઓ ધો.૧૦મા ૫૭ ટકા મેળવેલ હોય અને હાલે ધો.૧૧ માં આવેલ હોય અને તે મોબાઇલનો વધુ પડતો રસ ધરાવતી હોય જેથી તેના પિતાજીએ મોબાઇલ આપવાની ના પાડેલ અને અને ભણવામાં ધ્યાન આપવા માટે ઠપકો આપતાં જે મનમાં લાગી આવતા પોતાના ઘરે સાડી વડે ગળેફાંસો ખાઈ જતાં સગીરાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.