મોરબી જિલ્લામાં 160 જેટલા અધિકારીઓને ગામડાઓમાં વૃક્ષારોપણની જવાબદારીઓ સોપાઇ
મોરબી જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ આયોજનબધ્ધ રીતે વૃક્ષારોપણ અને સામાજિક વનીકરણ થાય અને વૃક્ષોની જાળવણી થાય તે માટે જિલ્લાના ૧૬૦ જેટલા અધિકારીઓને વિવિધ ગામોની જવાબદારીઓ સોપવામાં જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ દ્વારા સોંપવામાં આવી છે. આ વૃક્ષારોપણમાં વધુને વધુ જનભાગીદારી થાય તથા સધન ઝુંબેશ થાય તેવા પ્રયાસ થઇ રહયા છે. મનરેગા યોજના અન્વયે વનીકરણ થાય તેવી કામગીરી થઇ રહી છે.
આ ઝુંબેશના ભાગરૂપે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લખધીરગઢ અને અમરાપર ગામે વૃક્ષારોપણના કાર્યક્રમો જિલ્લા માહિતી અધિકારી પારૂલ આડેસરાના માર્ગદર્શન હેઠળ યોજાયા હતા.
લખધીરગઢ ગામના બગીચામાં ૩૦ વૃક્ષો અને સ્મશનામાં ૨૦ વૃક્ષો મળી કુલ ૫૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ હતું. આ તકે સહાયક માહિતી નિયામક પારૂલ આડેસરા, તલાટી સરલાબેન ભાગિયા, સરપંચ મનોજભાઇ વ્યાસ, આગેવાન અમરશીભાઇ ભાગિયા, કેમેરામેન પ્રવીણભાઇ સનાળિયા, જયેશભાઇ વ્યાસ વગેરે ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરી વૃક્ષોના જતનના શપથ લીધા હતા. ટંકારાની નર્સરીમાંથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે.એમ. જાની દ્વારા રોપાઓનું વિતરણ થયુ હતું.
અમરાપર ગામમાં સો જેટલા વૃક્ષોનું વાવેતર કબ્રસ્તાન અને સ્મશાન ખાતે કરવામાં આવ્યુ હતુ. આ તકે સરપંચ દિનશાનાબાનુ બાદી, ઉપસરપંચ હિતેશભાઇ મકવાણા, તલાટી વિશાલ સેરસિયા વગેરે ઉપસ્થિત રહયા હતા.
રાજાવડ ગામે વૃક્ષારોપણ ઝુંબેશનો પ્રારંભ કરાશે. જેમાં ગામના આગેવાન ધર્મેન્દ્રભાઇ ભટાસણા, હિરાભાઇ વાલજીભાઇ, તલાટી અંબારામ દેત્રોજા જહેમત ઉઠાવી રહયા છે.