મોરબી જિલ્લાની તમામ શાળામાં શૈક્ષિક મહાસંઘ દ્વારા અમારી શાળા, અમારું સ્વાભિમાન કાર્યક્રમનો શુભારંભ થશે
મોરબી મહાસંઘના કાર્યકર્તાઓએ અધિકારી અને પદાધિકારીઓને મળી કાર્યક્રમની જાણકારી આપી પોસ્ટરનું વિમોચન કર્યું
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા તા.01-09-2025 ના રોજ ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં “આપણી શાળા- આપણું સ્વાભિમાન” નો સંકલ્પ લેવાની અનોખી અને ઉત્તમ પહેલ થવા જઈ રહી છે, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત રીતે શાળા તીર્થભૂમિ બને એ માટે સંકલ્પ લેવામાં આવનાર છે.
આ સંકલ્પ માત્ર શબ્દો પૂરતો મર્યાદિત નથી, પરંતુ શાળા જીવનને ગુણવત્તા સભર, પ્રેરણાદાયી અને રાષ્ટ્રીય હિતમય બનાવવા માટેનો જીવંત દસ્તાવેજ છે, શાળાને સ્વચ્છ, શિસ્તબદ્ધ હરિયાળી અને પ્રેરણાદાયી બનાવવાનો સંકલ્પ, શાળાની સંપત્તિને રાષ્ટ્રીય સંપત્તિ માની તેનું રક્ષણ કરવાની ભાવના અને સમભાવથી શીખવા – શીખવવાની પ્રતિબદ્ધતા આ બધું શિક્ષણના સાચા અર્થને પ્રતિબિંબિત કરવામાં આવશે.
શિક્ષકને જ્ઞાનના સ્ત્રોત સાથે સાથે ચારિત્ર્ય નિર્માણ અને સમાજ સેવાના પ્રેરક તરીકે માન્યતા આપવી,તેમજ શાળાને સંસ્કાર અને સમર્પણનું તીર્થ ગણાવી તેનું ગૌરવ વધારવા સતત પ્રયત્નશીલ રહેવાની ભાવનાએ આપણાં શિક્ષણતંત્રની આત્મા છે, આ વિશ્વાસને આ સંકલ્પ સૌના વ્યક્તિગત સામાજિક અને રાષ્ટ્રીય વિકાસના માર્ગે દ્રઢપણે આગળ વધવા પ્રેરિત કરશે, રાષ્ટ્ર નિર્માણનો સાચો આધાર આધાર શિક્ષણ છે, અને આ અભિયાન એ દિશામાં એક પ્રેરણાદાયી પગલું છે,
“આપણી શાળા-આપણું તીર્થ છે, આત્મ-અભિમાન છે, રાષ્ટ્ર નિર્માણનો આધાર છે, આ પહેલ માટે મોરબી જિલ્લાના કલેકટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ હંસાબેન પારેઘી પ્રમુખ જિલ્લા પંચાયત-મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા,જીતુભાઈ સોમાણી સાંસદ ચંદુભાઈ સિહોરા, કેસરીદેવસિંહજી ઝાલા, પરષોતમભાઈ રૂપાલા તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ.મહેતા જિલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતા વગેરે અધિકારી પદાધિકારીઓએ “હમારા વિદ્યાલય, હમારા સ્વાભિમાન” કાર્યક્રમ માટે તમામ શિક્ષકોને અને શૈક્ષિક મહાસંઘના તમામ કાર્યકર્તાઓને અભિનંદન તેમજ ભાવિ કાર્યોની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવેલ છે.