મોરબી આડેધડ કચરો ફેંકતા વેપારીઓ સામે પાલિકા લાલધૂ: ૧૫ જેટલા વેપારીને દંડ ફટકાર્યો
મોરબીને ઉકરડા અને કચરા મુક્ત બનાવવા નગરપાલિકાએ કમર કસી છે નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શન કામગીરી પુરજોશમાં ચાલી રહી છે તો પાલિકાએ વેપારીઓને ચેતવણી આપ્યા બાદ આજે પાંચ ટીમો ચેકિંગમાં નીકળી હતી અને કચરાનો આડેધડ નિકાલ કરનાર વેપારીઓને રૂપિયા 2500 નો દંડ ફટકાર્યો હતો
મોરબી નગરપાલિકાના કૃષ્ણસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળની ટીમે આજે ચેકિંગ હાથ ધર્યું હતું નગરપાલિકા તંત્રએ તાજેતરમાં આડેધડ કચરા નિકાલ મામલે વેપારીઓને સુચના આપી હતી અને કાર્યવાહી કરવાની ચેતવણી આપ્યા છતાં લોકો સુધરતા ના હોય જેથી આજે પાલિકાની પાંચ ટીમો બનાવી ચેકિંગ કરવામાં આવ્યું હતું મોરબી શહેરના શનાળા રોડ, તખ્તસિંહજી રોડ, નવાડેલા રોડ સહિતની મુખ્ય બજારમાં પાલિકાની ૫ ટીમો ચેકિંગમાં ઉતરી હતી
જેમાં વિવિધ સ્થળોએ આડેધડ કચરા ફેંકી ગંદકી ફેલાવનાર વેપારીઓને દંડ ફટકાર્યો હતો પાલિકા પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ૧૫ જેટલા વેપારીઓને રૂપિયા 2500 નો દંડ ફટકારવામાં આવ્યો છે અને કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું