મોરબી ઝુલતા પુલની દર્દનાક દુર્ઘટનાને આજ એક વર્ષ પૂર્ણ; બિહામણા દ્રશ્યો યાદ કરી લોકો આજે પણ રડી પડે છે
મોરબી માટે એ કાળો દિવસ જેને ૧૩૫ જેટલા લોકો નાં જીવ ગુમાવ્યા એ લોકોને યાદ કરતા તેમની ચિચિયારી આજે પણ સંભળાય છે
મોરબી: તા. ૩૦ ઓક્ટોબર ૨૦૨૨ ને રવિવારનો એ કાળમુખો દિવસ મોરબીની પ્રજા ક્યારેય નહીં ભૂલી શકે રવીવારની સાંજે ૬:૩૫ વાગ્યે મોરબી ઉપર એક મોટી આફત આવી ચડી અને મોરબીની આન બાન અને શાન સમો મચ્છુ નદી પરનો ઝુલતો પુલ કોઈ કારણોસર તુટી પડયો. પુલતા તુટી નીચે પડતા બાળકો, યુવાનો તેમજ વડીલો સહિત ૧૩૫ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. ચારે તરફ બચાવો બચાવોની બુમો પડવા લાગી અને જોત જોતા માં ૧૩૫ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. એ પુલ દુર્ઘટનાને આજ એક વર્ષ પૂર્ણ થતાં પુલ દુર્ઘટનાને યાદ કરી લોકોની આંખો ભીંજાઈ ગઈ.
આજથી દોઢસો વર્ષ પહેલાં મોરબીના મહારાજ વાઘજી ઠાકોર દ્વારા મોરબીમા ઝુલતા પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પુલ દરબારગઢ પૅલેસ અને રાજવી નિવાસ નઝરબાગ પૅલેસને પણ જોડતો હતો. તેમજ આ પુલ મોરબીની એક અલગ જ ઓળખ ઉભી કરી હતી. કેટલી ગુજરાતી ફિલ્મોના સુટીંગ પણ આ પુલ પર કરવામાં આવ્યા છે. ઝૂલતા પુલનું ઉદ્ઘાટન ૨૦ ફેબ્રુઆરી ૧૮૭૯ના રોજ, મુંબઈના એ વખતના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે કરાવાયું હતું. પુલના નિર્માણ માટે જરૂરી તમામ સામગ્રી ઇંગ્લૅન્ડથી આવી હતી અને નિર્માણ પાછળ એ વખતના ૩.૫ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ પુલના નિર્માણ પાછળ વાઘજી ઠાકોર પર કૉલોનિયલ કાળના સ્થાપત્યો પ્રભાવ સ્પષ્ટ હતો અને એમણે એનાથી પ્રેરીત થઈને મોરબી શહેરના નગરનિર્માણને વેગ આપ્યો હતો.
એક સદી જુના આ પુલ પર વર્ષ 2001માં ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપથી ભારે નુકસાન પહોંચ્યું હતું. તેમજ વરસાદ વાવાઝોડાને કારણે પણ પુલ પર નુકસાન થયું હતું જે બાદ તેને રીનોવેશન કરવામાં આવ્યો હતો પુલ વધું જર્જરિત થતા. આ પુલનું સમારકામ કરવા માટે નગરપાલિકાએ ઓરેવા ગ્રૂપ સાથે એક ‘મેમૉરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ’ (એમઓયુ) કર્યું હતું અને ગ્રૂપને 15 વર્ષ માટે પુલની જાળવણી તથાં સંચાલન સોંપવામાં આવ્યાં હતાં. ઓરેવા કંપની દ્વારા પુલનું સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ રૂપીયાની ભૂખ ક્યારેય માણસની મરતી નથી ત્યારે આ પુલના સમારકામમા વેઠ કરી રૂપીયાનો બચાવ કરી અને કેટલીક ખામીઓ અને ટેસ્ટ કર્યા વગર જ સંસ્થાએ પુલનું સમારકામ કર્યા બાદ તા. ૨૬ ઑક્ટોબર ૨૦૨૨ નાં રોજ લોકો માટે ખુલ્લો મૂક્યો હતો.
જ્યારે દિવાળીના તહેવારનું બાળકોને વેકેશન હતું જેથી સહેલાણીઓ પોતાના પરીવાર સાથે મોટી સંખ્યામાં ઝુલતા પુલની મુલાકાત આવ્યા હતા ત્યારે તા ૩૦ ઓક્ટોબર ૨૦૨૨ ને રવિવારના રોજ સાંજના ૬:૩૫ વાગ્યે અચાનક મોરબી શહેર ચિચિયારીઓ અને સ્વજનોના આક્રંદથી ગુંજી ઉઠ્યું. કોને ખબર હતી કે એ સાંજ આ ઝુલતો પુલ અનેક નિર્દોષ જીવન માટે અંતિમ બની જશે. સાંજના ઝુલતો પુલ લોકોની વધુ ભીડ એકઠી થતા તુટી પડયો અને મચ્છુ નદીમાં ચારે તરફ બચાવો બચાવોની બુમો પાડવા લાગી કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો કોઈ બહેન કોઈએ માતા પિતા ગુમાવ્યા તો કોઈ પોતાનો આખો પરિવાર ગુમાવ્યો જોત જોતામાં મોતનો આંકડો વધવા લાગ્યો 52 થી વધુ બાળકોએ જીવ ગુમાવ્યો તેમજ સવાર સુધીમાં ૧૩૫ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને ચારે તરફ દેશ વિદેશમાં ઝુલતા પુલ તુટવાની દુર્ઘટનના સમાચાર ફેલાઈ ગયા. લોકો આજુબાજુ થી દોડી જઇ બચાવ કામગીરી હાથ ધરી કેટલાક ને જીવતા બચાવી લેવાયા પરંતુ કેટલાક લોકોના જીવ ન બચી શકાયા.
મોરબી શહેરમાંથી લોકો મચ્છુ નદીના પાણીમાં અને ઝૂલતો પુલમાં ફસાયેલી જીંદગીઓને બચાવવા આવી પહોંચ્યા. અમુક સહેલાણીઓના જીવ બચ્યા પરંતુ એ કાળમુખી સાંજ ૧૩૫ જીંદગીને ભરખી ગઇ. આ ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યું છે. ઝૂલતો પુલ પડવાની દુર્ઘટના પાછળ જે જવાબદાર છે તેમની સામે હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, મૃતકોના પરિજનો ન્યાય માટે ઝંખી રહ્યાં છે અને જ્યારે પણ એ બિહામણુ દૃશ્ય આંખો સામે તરવરી થાય ત્યારે રાતની ઉંઘ છીનવી લે છે, આંખોની ભીની કરી દે છે અને હૃદયને ગમગીન બનાવી દે છે. મોરબી પુલ દુર્ઘટનામાં ગુમેલ સ્વજનનોને યાદ લોકો રડી પડે છે અને કહે છે જો આ ન થયું હોત તો તે આજ અમારી સાથે હોત. આ ગોઝારી ઘટનાએ મોરબી હોનારતને તાજી કરી અને ફરી એક વખત મોરબીને સ્મશાનમાં ફેરવી દીધું હતું મૃતકોના પરીવાર સરકાર પાસે ન્યાયની ગુહાર તો લગાવી રહ્યા છે પણ હવે જે દુર્ઘટનામાં જે પરીવારના સભ્યો મૃત્યુ પામ્યા એની ખોટ તેમને ક્યારેય પુરાવાની નથી