મોરબીના ગાળા ગામ નજીક પુલ પરથી પસાર થતા આશાસ્પદ યુવાનનો ખાડેએ ભોગ લીધો
મોરબી: મોરબીના ગાળા ગામ નજીક વર્ષો જુનો રેલ્વેનો પુલ આવેલ છે તેના પરથી હાલમાં વાહન વ્યવહાર કાર્યરત કરવામાં આવેલ છે. તે પુલ છેલ્લા કેટલાક વર્ષોથી બિસ્માર હાલતમાં જોવા મળે છે છતા તેનુ રીનોવેશન કામ કરવામાં આવ્યું નથી. તથા નવો પુલ પણ બનાવવામાં આવતો નથી જેથી ના છુટકે લોકોને આ જોખમકારક પુલ પરથી પસાર થવુ પડે છે.આ પુલ પર મસમોટા ખાડા પડી ગયા હોવાથી અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે.
ત્યારે ગઈકાલના રોજ રાત્રીના સમયે પુલ ઉપર પડેલ ખાડાઓએ આશાસ્પદ યુવાનનો જીવ લીધો છે. યુવાનને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચતા યુવકનુ ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ મૃતક યુવાન મુળ સાપર ગામનો રહેવાસી છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ દ્વારા આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.
જ્યારે મોરબીના ગાળા ગામ નજીક આવેલ પુલને રીપેર કરવા માટે એક વખત નહી અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. લાપરવાહ અધીકારીઓ અને બેજવાબદાર નેતાઓ કારણ આ બ્રિજનુ રીપેરીંગ કામ આજ સુધી થયેલ નથી. આ બિસ્માર બ્રીજ ઉપરથી જીવના જોખમે લોકો પોતાના વાહન લઇ પસાર થાય છે ત્યારે આજે એક યુવકનું જીવલેણ ખાડાના લીધે મોત નિપજ્યું છે. જો પુલ રીપેર કરવામાં નહી આવે તો હજુ આવનાર સમયમાં ઘણા અકસ્માત સર્જાય શકે છે. શુ તંત્ર દ્વારા અકસ્માતને લીધે હજુ વાધરે લોકોના મોત નિપજે તેની રાહ જોવાઈ રહી છે તે પ્રશ્ન લોકોના મનમાં ઉદભવી રહ્યો છે.