નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા મોરબીના નાની વાવડીની શાળામાં સેનેટરી પેડનું વિતરણ કર્યું
મોરબીની નાની વાવડી કન્યા શાળા તથા માધ્યમિક શાળાની વિદ્યાર્થિનીઓને પર્સનલ હાઈજિન અંગે જાગૃતિ લાવવા તથા માસિક વખતે પડતી માનસિક દુવિધાઓ, પ્રશ્નોનું નિરાક૨ણ વગેરે માટે નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાની આશરે 175 વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે સેનેટરી પેડ આપવામાં આવ્યા હતા.
સાથે જ દરેક દીકરીઓને ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતે વિશે નિર્શિવ ફાઉન્ડેશનના ફાઉન્ડર આરતી રોહન, મયુરીબેન કોટેચા, ફાતિમા લોખંડવાલા, ઉર્વી ઉધરેજા, આક્ષી ગોપાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીઓ દ્વારા ખૂબ રસપૂર્વક અને પોતાની સમસ્યાઓ વિશે વિગતે વાત કરવામાં આવી હતી જેના સંતોષકારક ઉપાયો સૂચવવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને સર્વાઈકલ કેન્સરની રસીકરણ વિશે પણ જાગૃતિ લાવવા ઉંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું હતું. જેથી દરેક વિદ્યાર્થિની આ રસી મૂકાવીને કેન્સર મુક્ત જીવન જીવી શકે. શાળા પરિવાર દ્વારા મળેલા સહકાર બદલ નિર્શિવ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને પ્રમુખ રોહન રાંકજાએ શાળા પરિવાર તથા વિદ્યાર્થિનીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.