પહેલગામ ખાતે થયેલ આતંકિ હુમલાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ મોરબી દ્વારા કલેકટરને આવેદન
મોરબી: જમ્મુ કાશ્મીરમાં પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા હિન્દુઓની ઓળખ પૂછીન કરવામાં આવેલ નિર્લજ્જ હત્યાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગદળ મોરબી દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પહેલગામ ખાતે તાજેતરમાં બનેલી ઘટનામાં આતંકવાદીઓ દ્વારા હિન્દુ પર્યટકોની ધાર્મિક ઓળખ પૂછીને તેમની નૃશંસ હત્યા કરવામાં આવી છે. આ ઘટના સમગ્ર રાષ્ટ્રને આઘાતગ્રસ્ત અને રોષિત કરનાર છે. આ માત્ર એક આતંકી હુમલો નથી, પરંતુ ભારતના બહુમત હિન્દુ સમુદાયની ધાર્મિક સ્વતંત્રતા, ઓળખ અને ગૌરવ પર સીધો હુમલો છે.
તમારા સશક્ત નેતૃત્વમાં ભારતે આતંકવાદ સામે ખૂબ સાહસપૂર્વક લડત આપી છે. છતાં, આવી ઘટનાઓ એ સાબિત કરે છે કે હજી પણ હિન્દુ સમુદાય વિરુદ્ધ દુશ્મનાવટ ધરાવતા તત્ત્વો સક્રિય છે, જે આપણા દેશની એકતા, અખંડતા અને સામાજિક સદભાવને નુકસાન પહોંચાડવાનો ષડ્યંત્ર રચી રહ્યાં છે.
જેથી ‘અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા’ તરફથી નીચે મુજબની માંગણીઓ રાખવામાં આવી છે:
1.આ ઘટનામાં સંડોવાયેલા તમામ આતંકવાદીઓને તાત્કાલિક ઝડપી લઈ તેમને ફાંસીની સજા આપવામાં આવે.
2.જમ્મુ-કાશ્મીરમાં હિન્દુ યાત્રાળુઓ અને પર્યટકો માટે સ્થાયી અને અસરકારક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે.
3.મૃતકના પરિવારજનોને યોગ્ય આર્થિક સહાય અને એક પરિવારજને સરકારી નોકરી આપવામાં આવે.
4.દરેક ધાર્મિક સ્થળ અને યાત્રાઓ માટે એક સંકલિત રાષ્ટ્રીય સુરક્ષા નીતિ અમલમાં મૂકવામાં આવે.
5.ધાર્મિક આધાર પર કરવામાં આવેલી હિંસાને દેશદ્રોહની શ્રેણીમાં મૂકી સંડોવાયેલા તમામ આતંકીઓને કઠોર શિક્ષા આપવામાં આવે.
જ્યારે પ્રધાનમંત્રીને ઉલ્લેખી જણાવ્યું હતું કે આ ઘટના માત્ર પીડિત પરિવારજનો માટે નહીં, પરંતુ સમગ્ર હિંદૂ સમાજ માટે એક આંતરિક ઘા છે. અમારી વિનંતી છે કે આ મુદ્દાને રાષ્ટ્રીય સુરક્ષા અને સામાજિક ન્યાય સાથે સંકળાયેલી ઘાતક ઘટના તરીકે લઇને તાત્કાલિક, કઠોર અને નક્કર પગલાં લેવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈપણ આતંકી તત્ત્વ ભારતભૂમિ પર આવી ન શકે.