મોરબીમાં ‘પી.એમ. કિસાન ઉત્સવ’ કાર્યક્રમ યોજાયો
મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ અંતર્ગતનો કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ગોર ખીજડીયા, મોરબી ખાતે યોજાયો હતો. જે કાર્યક્રમના ભાગરૂપે મોરબી જિલ્લાના ૭૯ હજારથી વધુ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં પી.એમ. કિસાન સન્માન નિધિના ૨૦માં હપ્તા પેટે રૂ. ૧૬.૮૨ કરોડથી વધુ રકમ જમા કરવામાં આવી હતી.
કલેક્ટર કે.બી. ઝવેરીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, નાના અને સીમાંત ખેડૂતો માટે પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ યોજના છે. સરકારની યોજનાઓની સફળ અમલવારી જિલ્લા વહીવટી તંત્ર કટિબધ્ધ છે. દરેક ખેડૂત અને ગ્રામ પરસ્પર એકબીજાને ઓળખે તેવો અભિગમ જિલ્લા વહિવટી તંત્રએ દાખવ્યો છે અને તેના થકી ખેડૂતોને વધુ ને વધુ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવો જોઈએ.
આ પ્રસંગે વિવિધ કૃષિ કલ્યાણની યોજનાઓ હેઠળ મહાનુભાવોના હસ્તે ખેડૂતોને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. સર્વે ઉપસ્થિતોએ આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું વર્ચ્યુઅલી પ્રસારણ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી પીઠાભાઈ ડાંગર, જિલ્લા ખેતાવડી અધિકારી હિંમાશુ ઉસદડીયા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર કે.એમ. ડાભી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) કે.જી. પરસાણીયા, નાયબ બાગાયત નિયામક બ્રિજેશ જેઠલોજા તથા ખેતાવડી/બગાયત વિભાગના અધિકારી/કર્મચારીઓ અને જિલ્લાના ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.