રાજકોટ જિલ્લાની શાળાઓની 100 મીટર ત્રિજ્યામાં તમાકુનું વેચાણ થતું હશે તો આચાર્ય જવાબદાર
DDOએ પરિપત્ર કરી શાળાના આચાર્ય અને સરપંચની જવાબદારી નક્કી કરી
ચક્રવાત રાજકોટ
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદે કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, શાળા કેમ્પસની આજુબાજુની દુકાનોમાં જ્યારે સિગારેટ કે તમાકુની બનાવટનું વેચાણ થતુ હોય ત્યારે આવી દુકાનો ઉપર ગ્રામજનો, યુવાનો અને વયસ્કો ધુમ્રપાન અને તમાકુનું સેવન કરતા હોય છે. જેથી વિદ્યાર્થીઓને આવા દ્રશ્યો ખૂબ સરળતાથી જોવા મળે છે તેમજ ક્યારેક ક્યારેક વિદ્યાર્થીઓના વડીલો દ્વારા પણ તમાકુ ઉત્પાદનો ખરીદવા માટે વિદ્યાર્થીઓને કહેવામાં આવતું હોય છે. જેને કારણે વિદ્યાર્થીઓના માનસ ઉપર તેની નકારત્મક અસર થાય છે અને નાની ઉંમરના વિદ્યાર્થીઓને તમાકુના ઉત્પાદનનું સેવન કરવા માટે દુત્પ્રેરણા મળે છે જે રાજકોટ જિલ્લા શિક્ષણ સમિતિ અંતર્ગત આવતી તમામ શાળાઓના આચાર્યોએ શાળાની 100 મિટરની ત્રિજ્યામાં તમાકુ વેચાણ પ્રતિબંધિત કરવા COTPA-2003 અંતર્ગત કાર્યવાહી કરવાની રહેશે તથા વેચાણકર્તા સામે આ અધિનિયમની જોગવાઈ અન્વયે દંડાત્મક કાર્યવાહી કરવાની રહેશે.વધુમાં તમામ ગ્રામ પંચાયતો અંતર્ગત આવતી તમામ શાળાઓની આસપાસ તમાકુના ઉત્પાદનો વેચતી દુકાનો કાર્યરત ન રહે તે આચર્યો અને સરપંચો દ્વારા સુનિશ્ચિત કરવાનું રહેશે. આ બાબતે શાળાઓની આકસ્મિક મુલાકાત દરમિયાન આવી કોઈ બાબત ધ્યાને આવશે તો જે તે શાળાના મુખ્ય શિક્ષક/આચાર્ય તેમજ સરપંચ સામે કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી કિરીટસિંહ વાળાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે શાળાની આસપાસની 100 મીટરની ત્રિજ્યામાં તમાકુનું વેચાણ થતું હશે તો તેના માટે જવાબદાર આચાર્ય રહેશે. જેથી અમારો સવાલ એ છે કે અમારે બાળકોને ભણાવવાના કે દંડ ઉઘરાવવાનો?. પોલીસનું કામ અમારે કરવાનું. જેને લીધે ગ્રામજનો સાથે સંઘર્ષ ઉભો થયો છે. જેથી અમારી જિલ્લા વિકાસ અધિકારીને વિનંતી છે કે અમને આ કામગીરીમાંથી બાકાત રાખવામાં આવે. પંચાયત વિભાગના કર્મચારીઓને આ કામગીરી સોંપવામાં આવે તેવી માંગણી છે.
હવે શિક્ષકોએ તમાકુના વેપારી પાસેથી દંડ પણ વસૂલવાનો!



