મોરબીની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી તથા હેલ્થ અને ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ, સચિવાલય ગાંધીનગરના ડેપ્યુટી સેક્રેટરી ઉર્વશી ડી. સુતરીયાની ઉપસ્થિતમાં મોરબીની રામકૃષ્ણ તા. શાળા, જ્ઞાન જ્યોતિ વિદ્યાલય અને એન.જી.વિદ્યાલય ખાતે બાળકોને વ્હાલસભર આવકાર આપી શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો.
રામકૃષ્ણ તા. શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, હેલ્થ અને ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ, સચિવાલય ગાંધીનગરના ડેપ્યુટી સેક્રેટરી તથા મોરબી પ્રાંત અધિકારી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવામાં આવ્યું હતું કે, ૧૦૦ ટકા નામાંકન અને ડ્રોપ આઉટ અટકાવવા માટે સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવે છે. શાળા અને બાળકોના સર્વાંગીક વિકાસ માટે અભ્યાસની સાથે રમત ગમત અને યોગાને પ્રાધાન્ય આપવા જણાવવામાં આવ્યું હતું. બાળકો માટે અમલી વિવિધ શૈક્ષણિક યોજનાઓ વિશે માહિતી આપી આ યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
શાળા પ્રવેશોત્સવ અન્વયે મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ આપી બાળકોને શાળાના પ્રાંગણમાં વધાવવામાં આવ્યા હતા. બાળકોએ પણ ખિલખિલાટ સાથે હરખભેર શાળામાં પા પા પગલી પાડી હતી. શાળાના દાતાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ ૩ થી ૯ માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર, વધુ હાજરી ધરાવતા અને CET તથા NMMS જેવી વિવિધ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ મેળવાનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બાળકોએ વિજ્ઞાાન અને પ્રકૃતિના સંવર્ધન સહિતનાં વિષયો પર તથા વાલી દ્વારા બાળકો માટેની વિવિધ શૈક્ષણિક યોજનાઓ અંગે વક્તવ્ય રજૂ કર્યું હતું. શાળા ખાતે SMCની બેઠક પણ યોજાઈ હતી અને કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત રામકૃષ્ણ તા. શાળા ખાતે વિવેકાનંદ (ક) પ્રા.શાળા, વેજીટેલબ, ભીમસર પ્રા. શાળા અને રામકૃષ્ણ તા. શાળામાં આંગણવાડી ખાતે ૧૦ કુમાર અને ૧૦ કન્યા મળી ૨૦ બાળકો, બાલવાટિકામાં ૨૮ કુમાર અને ૩૭ કન્યા મળી ૬૫ બાળકો અને ધોરણ ૧ માં ૪૦ કુમાર તથા ૫૩ કન્યા મળી ૯૩ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્ઞાન જ્યોતિ વિદ્યાલય ખાતે ધોરણ ૯ માં ૬૭ કુમાર અને ૧૦૭ કન્યા મળી ૧૭૪ વિદ્યાર્થીઓ અને એન.જી. વિદ્યાલય ખાતે ૩૯ કુમાર અને ૨૪ કન્યા મળી ૬૩ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જે અન્વયે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ તથા ૯ માં મળી કુલ ૪૧૫ બાળકોએ અનેરા ઉત્સાહ અને ઉમંગે સાથે શાળામાં પ્રવેશ મેળવ્યો હતો.
આ પ્રસંગે શાળાઓના આચાર્યઓ અને શિક્ષકો તથા વાલીઓ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.