શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ- મોરબી ખાતે “યોગ , શારીરિક શિક્ષણ અને આનંદમયી શનિવાર ” અંતર્ગત ત્રણ દિવસની તાલીમનું આયોજન
જિલ્લા શિક્ષણ તાલીમ ભવન મોરબી અને બીઆરસી ભવન મોરબી દ્વારા “યોગ , શારીરિક શિક્ષણ અને આનંદમયી શનિવાર ” અંતર્ગત ત્રણ દિવસ ની તાલીમ નું આયોજન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ- મોરબી ના તાજગીભર્યા મનોહર, રમણીય અને જીવંત વાતાવરણમાં સફળતા પૂર્વક અને ખૂબ ઉત્સાહથી આયોજન થયું.
આ તાલીમમાં યોગના મહત્વ, યોગાસન, પ્રાણાયામ તથા ધ્યાન દ્વારા શારીરિક-માનસિક આરોગ્ય કેવી રીતે મજબૂત બને તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે-સાથે “આનંદમય શનિવાર” અંતર્ગત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રમતો, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ, સર્જનાત્મક કળાઓ અને જીવનકૌશલ્ય વિષયક પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી.
ચંદ્રકાંતભાઈ બાવરવા દ્વારા પતંજલિ યોગસૂત્રમાં દર્શાવેલ યોગના આઠ અંગો યમ નિયમ આસન પ્રાણાયામ સૈદ્ધાંતિક પરિચય તેમજ શૈલેષભાઈ કાલરીયા દ્વારા ધ્યાન અંગેની સમજ તેમજ નિદર્શન આપવામાં આવ્યું હતું અને ઉમેશભાઈ બોપલીયા દ્વારા યોગ એસ. એન. તાવારિયા પ્રેરિત રિફાઇનિંગ એક્સરસાઇઝ અને એસ. આર. બી. યોગ, નાદ યોગ નું અને રાજુભાઇ વ્યાસ દ્વારા સૂર્ય નમસ્કાર અંગેનું જ્ઞાન આપવામાં આવ્યું હતું.
તાલીમ દરમિયાન શિક્ષકોને શાળા માં યોગ અને આનંદદાયક પ્રવૃત્તિઓને કેવી રીતે અસરકારક રીતે અમલમાં મૂકી શકાય તે અંગે પ્રાયોગિક માર્ગદર્શન મળ્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ શિક્ષકોમાં ઉત્સાહ અને નવી ઉર્જા જોવા મળી. તાલીમમાં વિવિધ રમતોનું આયોજન થયું હતું જેમાં પ્રથમ , દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલા શિક્ષક ભાઈઓ- બહેનોને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ આયોજનથી શિક્ષકોને નવી દિશા અને પ્રેરણા મળી છે, જેનાથી શાળાઓમાં શિક્ષણ વધુ રસપ્રદ, આરોગ્યદાયક અને આનંદમય બનશે. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને બીઆરસી ભવન મોરબી દ્વારા લેવામાં આવેલી આ પહેલ પ્રશંસનીય રહી.
આ ત્રણ દિવસીય તાલીમને સફળ અને અસરકારક બનાવવા મોરબી બીઆરસી કોર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા અને સમગ્ર બીઆરસી ની ટીમ ખૂબ જ સુંદર આયોજન અને ખૂબ જ મહેનત કરી હતી. જેમાં બધા સીઆરસી મિત્રોએ તજજ્ઞ તરીકેની ભૂમિકા પૂરી પાડી હતી.