વાંકાનેર તાલુકાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ આપવા કોંગ્રેસ અગ્રણીઓની માંગ
વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન સહિત ખેડૂત આગેવાનો દ્વારા પત્રકા પરિષદ યોજી માંગણી કરાઇ
વાંકાનેર તાલુકાના ચોમાસાની સીઝન દરમિયાન સતત 28 દિવસ સુધી વરસાદ પડ્યો ના હોય જેને લઈને ખેડૂતોને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં પણ વાંકાનેર વિસ્તારમાં મોટાભાગે કપાસનું વાવેતર કરવામાં આવતું હોય, ત્યારે વરસાદ ન પડવાના કારણે કપાસ સુકાઈ ગયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખેડૂતોના પ્રશ્ન સાથે આગળ આવી અને યાર્ડના ડીરેક્ટર અને પૂર્વ ચેરમેન શકીલ પીરઝાદા, ચેરમેન ગુલામભાઈ પરાસરા, કોંગ્રેસ અગ્રણી હરદેવસિંહ ઝાલા સહિતના આગેવાનો દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાબતે શકીલ પીરઝાદાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બંધ કરી તેના સ્થાને મુખ્યમંત્રી કિશાન સહાય યોજના અમલમાં મુકવામાં આવી હોય, જે યોજનાની શરત મુજબ વાંકાનેર તાલુકામાં ચોમાસાના સમય દરમિયાન સતત 28 દિવસ સુધી વરસાદ પડ્યો નથી, જે મુખ્યમંત્રી કિશાન સહાય યોજનાની શરત પૂર્ણ કરે છે, છતાં આ બાબતે યાર્ડ દ્વારા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરતા જવાબ મળ્યો હતો કે, વાંકાનેર તાલુકો મુખ્યમંત્રી કિશાન સહાય યોજનામાં આવતો નથી. જેથી આ બાબતે ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે કરાવી, આ યોજના મુજબ ખેડૂતોને થયેલ નુકશાની અનુસંધાને તાત્કાલિક સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરી હતી.
આ સાથે જ કોંગેસ અગ્રણી હરદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કિશાન સાધન સહાય યોજના અમલમાં છે, જેમાં ખેડૂતોને ખેતઓજાર લેવા માટે સરકાર દ્વારા સબસીડી આપી ઓજાર આપવામાં આવે છે, જેમાં ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂતોને એક જ દિવસનો સમય આપવામાં આવે છે, જેમાં પણ એક જ દિવસમાં ખેડૂતો સાઈટ પર અરજી કરવાની હોય છે તે સાઈટ જ બંધ આવતી હોય છે અને ખેડૂતોને મુશ્કેલી પડે છે તો ઓછામાં ઓછા ૧૦ દિવસનો સમય ખેડૂતોને આપવામાં આવે તેવી માંગ કરી છે, સાથે તમામ અરજદાર ખેડૂતોને કોઈપણ ડ્રો કે ભેદભાવ વિના ખેત ઓજારો આપવામાં આવે તેવી માંગણી કરી હતી.