મોરબી: મોરબી શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ગટરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે મોરબીના સુપર માર્કેટના પ્રવેશ ગેટ નજીક ઉભરાતી ગટરની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. ગટરના પાણી રોડ પર ફરી વળતાં લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મોરબીમા અવારનવાર અનેક વિસ્તારોમાં વગર ચોમાસે ગટરો ઉભરાય છે થોડા દિવસ પહેલા છાત્રાલય રોડ પર ગટર ઉભરાઈ હતી જેથી ધોરણ -૧૦-૧૨ ની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને રોડ પરથી પસાર થઈ સ્કુલ સુધી પહોંચવા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ફરી મોરબીના સુપર માર્કેટના પ્રવેશ ગેટ પાસે ગટર ઉભરાઈ છે જેથી ગંદકીથી ત્રાહિમામ વેપારીઓમાં પરેશાની જોવા મળી છે. આ ઉભરાતી ગટરના પાણી સુપર માર્કેટથી લઈને છેક શનાળા રોડ પર થઈ સરદાર બાગ પર ભરાતી શાક માર્કેટ સુધી પહોંચ્યા છે. આ ગટરના પાણી અસહ્ય દુર્ગંધ ફેલાવી રહ્યા છે જેના કારણે આરોગ્ય પર જોખમ ઉભું થઈ રહ્યું છે. પરંતુ આ તકલીફ મોરબી પાલિકા કે પ્રશાસનને દેખાતી ના હોઈ તેવું લાગી રહ્યું છે અને આ સમસ્યા કેટલાય સમયથી વેપારીઓને સતાવી રહી છે તો પાલિકાનું નાક અનેક વખત વાઢવા છતાં નીમ્ભર તંત્રને કોઈ ફર્ક પડતો નથી અને ફરીથી ગટર ઉભરાઈ છે જેથી ખરીદીમાં આવતી મહિલાઓમાં પણ રોષ વ્યાપી ગયો છે.
મોરબીમાં દર અઠવાડિયે કોઈ એક વિસ્તારમાં ગટર ઉભરાઈ છે જેથી લોકોને ત્યાંથી પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે હાલ ચોમાસા જેવું ધાબળ છાયું વાતાવરણ હોય અને રોગચાળો ફેલાવાની સંભાવના વધું હોય તેવા સમયે ગટરોના આ દુર્ગંધ મારતા પાણી થી અનેક લોકો બિમાર પડી શકે છે ત્યારે પ્રશ્ન એ છે કે આખરે નગરપાલિકા નિંદ્રામાંથી જાગશે કે નહીં અને આ રોડ રસ્તા પર ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ લાવશે કે આમા જ વગર ચોમાસે ગટરોના પાણી રોડ પર ફરતા રહશે અને લોકો બીમાર પડતા રહેશે તે જોવુ રહ્યુ.
