વિશ્વ પ્રસિદ્ધ આધ્યાત્મિક સંત સદગુરૂ જગ્ગી વાસુદેવ વિશ્વઉમિયાધામના મહેમાન બન્યા. આજ રોજ તા.31/05/22ને મંગળવારના રોજ ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી સદગુરૂ અમદાવાદના જાસપુર ખાતે વિશ્વઉમિધામના નિર્માણધીન વિશ્વના સૌથી ઉંચા જગત જનની મા ઉમિયાના મંદિરની શિલાનું પૂજન કર્યું હતું.
સાથો સાથ અભિભાવક રૂપે સદગુરૂજીએ મા ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. લંડનથી શરૂ થયેલી અને વિશ્વના અનેકો દેશમાં પસાર થયેલી SAVE SOIL યાત્રા અનુસંધાને સદ્દગુરૂ આજે વહેલી સવારે 7 વાગ્યે વિશ્વઉમિયાધામ પધાર્યા હતા. સદ્દગુરૂએ ભાવિ ભક્તોને સંબોધતાં વર્તમાન પરિસ્થિતિમાં માટીને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય કે જેથી આવનાર પેઢીઓને સારો ખોરાક અને જીવન મળે તે અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું.
ધન્યક્ષણના સાક્ષી બની સર્વે ભક્તો આનંદવિભોર થઈ ગૌરવની અનુભુતી કરી હતી. આ પ્રસંગે વિગતે વાત કરતાં વિશ્વઉમિયાધામના પ્રણેતા અને સંસ્થા પ્રમુખશ્રી આર.પી.પટેલે જણાવ્યું હતું કે સદ્દગુરૂ જગત જનની મા ઉમિયાના ફેબ્રુઆરી 2020માં યોજાયેલા શિલાન્યાસ પ્રસંગમાં આવવાના હતા. સંજોગોવસાત કાર્યક્રમ બદલતાં તેઓ પધારી નહોતા શક્યા. પરંતુ સેવ સોઈલની યાત્રા અમદાવાદથી પસાર થતી હોય સદ્દગુરૂએ માતાજીના આશીર્વાદ લેવા અને શિલાપૂજન કરવા માટે ઈચ્છા દર્શાવી હતી જેના ભાગ રૂપે સદગુરૂ વિશ્વઉમિયાધામ પધાર્યા હતા.
