17 સપ્ટેમ્બર ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબી પધારશે:તેના વરદ્હસ્તે ‘નમો વન’પ્રધાનમંત્રીને વર્ચ્યુલી અર્પણ થશે
મોરબી પાંજરાપોળની વિશાળ જગ્યામાં જોધપર ગામ નજીક સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ અને વન વિભાગના સહયોગથી “નમો વન” બનાવવામાં આવી રહ્યું છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરના રોજ મોરબી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાને વર્ચ્યુલી અર્પણ કરવામાં આવશે.
આગામી 17, સપ્ટેમ્બર 2025 ને બુધવાર ના રોજભારત વર્ષના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી 75 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. ત્યારે પ્રત્યેક ભારતીય એવું ઈચ્છી રહ્યો છે કે તેમનો આ પ્લેટીનમ બર્થ ડે વિશેષ સેવા કાર્યથી ઉજવવો જોઈએ અને એ પ્રકારે થવાનું જ છે.
જેથી આ માટે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વિશિષ્ટ આયોજન કર્યું છે. પર્યાવરણની રક્ષા માટે, જંગલો વધે અને પ્રકૃતિનું ચક્ર સારી રીતે ચાલે એ માટે મોટી સંખ્યામાં વૃક્ષો વાવવાનું અભિયાન હાથ ધર્યું છે. જેમાં મોરબી પાંજરાપોળની વિશાળ જગ્યામાં, મચ્છુ ડેમ નં-2 ની બાજુમાં જોધપર ગામ નજીક, સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ તથા વન વિભાગના સહયોગથી 10 લાખ જેટલા વૃક્ષોનું ‘નમો વન’ મીયાવાકી જંગલ બનાવવામાં આવી રહ્યું છે.
જે 17 સપ્ટેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબી પધારશે (જેનો સમય હવે પછી જાહેર થશે.) તેઓના વરદ્હસ્તે આ ‘નમો વન’ પ્રધાનમંત્રીને વર્ચ્યુલી અર્પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 75 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાનમાં 7500 પ્રજાજનો -કાર્યકરોની ઉપસ્થિતિમાં આ સમારોહ સંપન્ન થશે જેથી આ કાર્યક્રમમાં લોકોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.