હળવદ તાલુકાના ૮ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવાઈ
હળવદ મામલતદાર કચેરી ખાતેથી અરજી ફોર્મ મેળવી ૫ જૂન સુધીમાં અરજી રજૂ કરવાની રહેશે
હળવદ તાલુકામાં હળવદ શહેરના મધ્યાહન ભોજન કેન્દ્ર નંબર-૨ અને હળવદ તાલુકાના માલણીયાદ, ચિત્રોડી, ખેતરડી, સૂર્યનગર, ચરાડવાના ચૈતન્યનગર ઢવાણાના નવા ઢવાણા તથા ટીકરના માધવનગર મળી ૮ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની જગ્યા ખાલી પડી છે. આ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલકની નિમણૂક કરવાની હોવાથી સંચાલક તરીકે ફરજ બજાવવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ હળવદ મામલતદાર કચેરી ખાતેથી મેળવી કામકાજના દિવસો દરમિયાન તારીખ ૦૫/૦૬/૨૦૨૫ સુધીમાં ભરીને પરત કરી શકાશે. ત્યારબાદ રજૂ થયેલ અરજી ફોર્મ ને ધ્યાને લેવામાં આવશે નહીં. ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવે ત્યારે જણાવવામાં આવેલ તારીખ અને સમયે સ્વખર્ચે હાજર થવાનું રહેશે. અરજી ફોર્મ સાથે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ, રહેણાંકનો પુરાવો, અનુભવનું પ્રમાણપત્ર તથા અન્ય માન્ય દસ્તાવેજની પ્રમાણિત નકલો જોડવાની રહેશે.
મધ્યાહન ભોજન યોજનાના કમિશનરના પરિપત્ર મુજબ સંચાલક તરીકે મહિલા તથા અનુભવી ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે, પુરુષ ઉમેદવારો પણ અરજી નોંધાવી શકશે. ઉમેદવારની ઉંમર લઘુતમ ૨૦ વર્ષથી ઓછી અને મહત્તમ ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ, તમામ માટે છૂટછાટ વય મર્યાદા ૬૦ વર્ષની રહેશે. ઉમેદવાર એસએસસી પાસ હોવા જોઈએ, જે ગામમાં ઉમેદવાર એસએસસી પાસ ન હોય તો ધોરણ ૭ પાસ ની છૂટછાટ આપવામાં આવશે. સ્થાનિક ઉમેદવાર જ અરજી કરી શકશે.
ઉમેદવાર સ્થાનિક સંસ્થા/પંચાયતમાં ચૂંટાયેલા હોદા ધરાવતી વ્યક્તિ, રાજ્ય સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થા હેઠળ નોકરી કરતી અથવા માનદવેતન મેળવતી વ્યક્તિ, સસ્તા અનાજની દુકાન ધારણ કરતા હોય તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહીં. કેન્દ્ર કે રાજ્ય સરકારના જાહેર સાહસ હેઠળ ફરજ બજાવતી વ્યક્તિ, અનાજ દળવાની ઘંટી ચલાવતી વ્યક્તિ, હોમગાર્ડ ગૃહ રક્ષણ દળના સભ્ય હોય તેવી વ્યક્તિ તેમજ અગાઉ સરકારી સેવામાંથી નિવૃત્ત થયેલ કે બરતરફ થયેલ હોય તેવી વ્યક્તિ કે વકીલાત જેવો વ્યવસાય કરતી વ્યક્તિ અરજી કરી શકશે નહીં.
રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના તાબા ના જાહેર સાહસ હેઠળ કે પંચાયત હેઠળ કે આંગણવાડીની નોકરી કરતા કર્મચારી અગર તો કર્મચારીઓના પતિ /પત્ની /પુત્ર /પુત્રી કે જે આશ્રિત હોય તે અરજી કરી શકશે નહીં. શાકભાજી, મરી-મસાલા કે જલાઉ લાકડાનો વેપાર કરતા હોય તે વ્યક્તિ તેમજ કોઇપણ જગ્યાએ માનદ્ વેતન મેળવતી વ્યક્તિ અરજી કરી શકશે નહીં. વધુમાં કોઈ ઉમેદવાર દ્વારા રાજકીય લાગવગ કરવામાં આવશે તો તેનું નામ ઇન્ટરવ્યૂ યાદીમાંથી કમી કરવામાં આવશે તેવું હળવદ મામલતદારની યાદીમાં જણાવાયું છે.