મોરબીના ઓમનગર ગામના ભરતભાઇ કાનજીભાઇ શેરસિયાને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બની રહેલા રોડના કામ દરમિયાન અકસ્માત નડ્યો હતો. ત્યારે તેઓની સારવારમાં ખર્ચ થયેલ પૂરેપૂરી રકમ કંપની પાસેથી સાંસદ પૂનમબેન માડમે મંજૂર કરાવી આપી હતી. તે બદલ ઓમનગરના સરપંચે પૂનમબેન માડમનો આભાર વ્યક્ત કર્યો છે.

ઓમનગર ગામના ભરતભાઈ શેરસિયાને ફોરલેન હાઇવેના કામ દરમ્યાન અકસ્માત નડયો હતો. તેઓની હાલત ગંભીર હોવાથી 20 દિવસ સુધી રાજકોટ સ્ટર્લીંગ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જે માટે 10,49,278 રૂપિયાનો ખર્ચ થયો હતો. ખર્ચની પૂરેપૂરી રકમ દિલીપ બિલ્ડકોન કંપની પાસેથી સાંસદ પૂનમબેન માડમના અથાગ પ્રયત્નથી મંજૂર કરાવાઈ હતી. ત્યારે ભરતભાઈ તેમજ તેમના પરિવાર અને ઓમનગર ગામ વતી સરપંચ મનોજભાઈ શેરસિયાએ પૂનમબેન માડમનો આભાર વ્યક્ત કર્યો હતો.
